Monday, March 13, 2023

AMCના ઓડિટ વિભાગે છેલ્લા બે વર્ષમાં વિવિધ ખાતાઓના 10111 વાંધાઓ કાઢ્યા, માત્ર 1749નો જ નિકાલ | AMC's audit department raised 10,111 objections to various accounts in the last two years, only 1,749 were disposed of. | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં વિવિધ ખાતાઓની કામગીરીનું કોર્પોરેશનના ઓડિટ વિભાગ દ્વારા દર વર્ષે ઓડિટ કરવામાં આવતું હોય છે. જેમાં ઓડિટ વિભાગ દ્વારા વિવિધ વાંધાઓ કાઢવામાં આવતા હોય છે. આ ઓડિટ વાંધાઓનો ત્વરિત નિકાલ કરી અને તેને દફ્તરે કરવાની હોય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પોતાના જ અધિકારીઓના કૌભાંડ છુપાવવા માટે થઈ અને આ ઓડિટ વાંધાનો નિકાલ જ ન કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોર્પોરેશનના ઓડિટ વિભાગ દ્વારા વિવિધ ખાતાઓ અને ઝોનના 10111 કેટલા વાંધાઓ કાઢવામાં આવ્યા હતા. જેમાં માત્ર 1749 જેટલા વાંધાઓનો જ નિકાલ કરવામાં આવ્યો છે એટલે કે માત્ર 17 ટકા જ વાંધાઓનો નિકાલ થયો છે.

કોર્પોરેશનના વિવિધ ખાતાઓ અને ઝોનનું ઓડિટ
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ અને ઝોનનું ઓડિટ થતું હોય છે તેમાં વાઉચરો, રેકર્ડ, નાણા વિભાગ દ્વારા બિલોની ચુકવણીની તપાસ થતી હોય છે. ઓડિટ વિભાગ દ્વારા આ મામલે જો કોઈ વાંધો હોય તો તે કાઢી અને રજૂ કરવામાં આવે છે જે તે વિભાગ દ્વારા તેનો નિકાલ કરવાનો હોય છે છતાં પણ નિકાલ કરવામાં આવતો નથી. છેલ્લા બે વર્ષમાં 8362 જેટલા વાંધાઓનો નિકાલ કરવાનો બાકી છે. દર વર્ષે વાંધા સંખ્યામાં વધારો થાય છે અને નિકાલ ન થતો હોવાને લઈ ભાજપના સત્તાધીશો આ મામલે મૌન ધારણ કરીને બેઠા છે જેથી કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ વધી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.

નિકાલ થયેલા વાંધાને કારણે 4 કરોડની રીકવરી
અમદાવાદ મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના છેલ્લા બે વર્ષ એટલે કે 1 એપ્રિલ 2021થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન ઓડિટ ખાતા દ્વારા 10111 જેટલાં વાંધા કાઢવામાં આવ્યા હતા. તે પૈકી વિવિધ ખાતા દ્વારા માત્ર 1749 જેટલાં વાંધાનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલે કે માત્ર 17 ટકા વાંધાનો નિકાલ થયો છે. નિકાલ થયેલા વાંધાને કારણે મ્યુ.કોર્પોને 4 કરોડ જેટલી માતબર રકમની રીકવરી થઈ છે. હાલ છેલ્લા બે વર્ષના 8362 જેટલાં વાંધાનો નિકાલ બાકી છે. મુખ્યત્વે ઇજનેર મધ્ય ઝોનના 1814, ઇજનેર પૂર્વ ઝોનના 800, નાણાં ખાતાના 732, ટેક્ષ ઉત્તરઝોનના 624, ઇજનેર દક્ષિણઝોનના 573 જેટલાં વાંધાનો નિકાલ કરવાનો બાકી છે.

કોન્ટ્રાકટરો તથા સપ્લાયરોને ફાયદો કરાવવા વિલંબ
મ્યુ.કોર્પોના ઓડિટ વાંધાના સમયસર નિકાલ કરવામાં આવે તો કરોડો રૂપિયાની રીકવરી થઇ શકે તેમ છે. વાંધાનો નિકાલ કરવા બાબતે મ્યુ.કોર્પો.ના વિવિધ ખાતા ઉદાસીન છે અથવા તો કોન્ટ્રાકટરો તથા સપ્લાયરોને ફાયદો કરાવવા જાણીજોઇને વિલંબ કરવામાં આવે છે તેવું સ્પષ્ટ થાય છે. જેને કારણે મ્યુ.કોર્પોને કરોડોની આવક ગુમાવવી પડે છે. અને મ્યુ.કોર્પોને ઓડિટ વાંધાના નિકાલ બાબતે થતાં વિલંબને કારણે મ્યુ.કોર્પોને થતું આર્થિક નુકશાન થવા પામે છે.

જુદા જુદા ખાતાઓની કામગીરી બાબતે અનેક ત્રુટીઓ
ઓડિટ ખાતા દ્વારા ઓડિટ ખાતા દ્વારા વિવિધ ખાતાના વાઉચરો, રેકર્ડની ચકાસણી, ખાતાના રેકર્ડના વાઉચરોનું ઓડિટ કરતાં જ્યાં ત્રુટી હોય તે બાબતે ઓડિટ વાધાં ૨જુ ક૨વામાં આવે છે અને તે વાધાંઓનો જે તે ખાતા દ્વારા નિકાલ લાવવાનો હોય છે. ઓડિટ વાધાંઓમાં જુદા જુદા ખાતાઓની કામગીરી બાબતે અનેક ત્રુટીઓ અને ગેરરીતી પ્રકાશમાં આવે છે તેને કારણે તંત્ર દ્વારા કયાં ખોટું થાય છે? કે કયાં આપણાથી ભુલ થાય છે? તે જાણવા મળે છે જેને કારણે આગામી સમયમાં તે ભુલો સુધારી શકાય કાર્યક્ષમ વહીવટ આપી ભષ્ટ્રાચાર થતો રોકી શકાય.

બાકી રહેલા વાંધાનો ત્વરીત નિકાલ કરવામાં આવે
મ્યુ.કોર્પોના વિવિધ ખાતાના કામો બાબતે ઓડિટ ખાતા દ્વારા જે વાંધા કાઢવામાં આવે છે તે વાંધાનો નિકાલ કરવા સમયમર્યાદા નિયત કરવી જોઇએ અને તેનો દરેક ખાતા દ્વારા ચોક્કસ અમલ થવો જોઇએ તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તેમજ હાલ બાકી રહેલા વાંધાનો ત્વરીત નિકાલ કરવામાં આવે તે માટે મ્યુ.કોર્પોના હિતમાં તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: