અમદાવાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ ચાલી રહ્યો છે. બ્રિજની ગુણવત્તા અને કામગીરીને લઇ સવાલો ઉભા થતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ સોંપવામાં આવી હતી. જેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિજિલન્સ ખાતાં દ્વારા વર્ષ 2014થી 107 સુધીના બ્રિજ પ્રોજેકટના અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. વિજિલન્સ તપાસ પણ આખરી તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજની વિજિલન્સ તપાસની સૂચના આપવામાં આવતા જ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. વર્ષ 2014- 15માં ટેન્ડર થયું અને 2015માં બ્રિજ બનવાની શરૂઆત થઈ ત્યારથી લઇ અને વર્ષ 2017માં બ્રિજ બનીને લોકોના વપરાશ માટે શરૂ થયો ત્યાર સુધીમાં બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બ્રિજમાં કામગીરી કરનારા તમામ અધિકારીઓને કર્મચારીઓ ઉપર વિજિલન્સ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાંચ જેટલા અધિકારી- કર્મચારીઓને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. રોડ એન્ડ બિલ્ડીંગ તેમજ બ્રિજ પ્રોજેક્ટના સીટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટર સહિતના અધિકારીઓ હતા તેમની સામે તપાસ થશે.
હાટકેશ્વર બ્રિજમાં ગાબડાં પડ્યા બાદ બ્રિજની ચાર અલગ અલગ ખાનગી લેબોરેટરીઓમાં બ્રિજના કરવામાં આવ્યા હતા જેમાં બ્રિજ બનાવનાર કંપની અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ બ્રિજ અવારનવાર ગાબડાં પડતા હતા જેથી ઓગસ્ટ 2022માં બ્રિજને બંધ કરવાની ફરજ પડી હતી. ભાજપના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી હતી.