જુનાગઢ3 મિનિટ પહેલા
સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે જૂનાગઢના ડુંગરપુર રોયલ્ટી વિસ્તારમાં રહેતા સંજય વાઘેલાએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, પોતે પોતાની સાળી અને તેની દીકરી પ્રિતા ઉંમર વર્ષ 2ને રિક્ષા નંબર જીજે 22 યુ 1176 માં બેસીને જતા હતા ત્યારે રીક્ષા ચાલક દ્વારા પૂર ઝડપે ગાડી ચલાવતા હતા તે દરમિયાન રસ્તા ઉપર અચાનક એક આખલો દોડીને આડો ઉતરતા રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.અને તેની સાળી ગીતાબેનની બે વર્ષની દીકરી પ્રિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.

ધુળેટીનો તહેવાર પૂર્ણ થતા ગીતાબેન પોતાના સંતાનો સાથે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે ડુંગરપુરથી પાદરીયા તરફ જતા રસ્તામાં સ્મશાન પાસે અચાનક એક આખલો દોડીને રીક્ષા સાથે અથડાયો હતો અને રીક્ષા પલટી મારી ગઈ હતી. જેમાં ગીતાબેનને ઈજા થઈ હતી. તેમજ તેની દીકરી રંજન, મહેક અને દિવ્યેશને પણ નાની-મોટી ઇજા થઈ હતી. તેની સૌથી નાની દીકરી પ્રીતા ને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યુ હતું. આ તમામને જૂનાગઢ સારવાર માટે દાખલ કરવામાં આવતા અને દાખલ કર્યા બાદ આજે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. આમ રખડતા ભટકતા ઢોરને કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ છે હવે તંત્ર જાગશે કે કેમ ? આ રખડતા ભટકતા ઢોર માટે કોઈ નક્કર કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહ્યું.
