- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- Children Of Boridra Primary School Went From Floor To Floor In An Attempt To Create Public Awareness, The Teacher Requested To Save Water By Giving Rose Flowers.
નર્મદા (રાજપીપળા)18 મિનિટ પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષક અનિલ મકવાણાની આગેવાનીમાં ગામમાં “પાણી બચાવો જીવન બચાવો”ના બેનર હેઠળ રેલી યોજીને ગામમાં જળ બચાવવાનો ગલીએ ગલીએ બાળકો દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો. ગામના લોકો તથા બાળકોને શિક્ષક દ્વારા ગુલાબના ફૂલો આપીને પાણી બચાવવા વિનંતી કરવામાં આવી હતી. શાળામાંથી ગામમાં ફળિયે ફળિયે જઈને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગામના લોકોએ પાણી બચાવવાનો સંકલ્પ પણ લીધો હતો. વિશ્ચ જળ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાણીનું સમગ્ર જીવનસૃષ્ટિમાં શું મહત્ત્વ છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પાણી વિના પૃથ્વી પર રહેવું અશક્ય છે. દુનિયાનો 70 ટકા ભાગ પાણીથી ઘેરાયલો છે. તેમાં પણ 97 ટકા પાણી પીવાલાયક નથી. માત્ર 3 ટકા પાણી પર સમગ્ર દુનિયા જીવીત છે. તેથી જ લોકો પાણીનું મહત્ત્વ સમજે તેવા આશયથી દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છ જળનું મહત્ત્વ સમજાવવાનો અને તેના પ્રત્યે જાગ્રત કરવાનો છે.

1992માં બ્રાઝિલમાં પર્યાવરણ અંગે વિકાસ પરિષદ યોજાઈ હતી. જેમાં વિશ્વ જળ દિવસની ઉજવણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ પછી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 1992માં ઠરાવ પસાર કર્યો હતો અને જાહેરાત કરી કે વિશ્વ જળ દિવસ દર વર્ષે 22 માર્ચે ઉજવવો જોઈએ. આ પછી વર્ષ 1999માં વિશ્વ જળ દિવસની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી. 2010માં યુએનએ સલામત, સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાના અધિકારને માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી.
