- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Commemoration Of Prestige Mass At Shri Ram Janmabhoomi Ayodhya At Delhi Akshardham Temple, Launch Of Nationwide Hanuman Chalisa Campaign
અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાનો ઉત્સવ આવતા વર્ષે 15 જાન્યુઆરી, 2024 પછી લગભગ તરત જ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે નવા ભવ્ય મંદિરમાં યોજાશે. આ હેતુથી, 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024 સુધીના 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હીથી એક વિશાળ ભક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
ધર્મગુરુઓ અને વિદ્વાન મહાનુભાવોએ ભાગ લીધો
સ્વામી બાબા રામદેવજી (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર), સ્વામી ગોવિંદદેવ ગિરિજી (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, અયોધ્યા) અને સ્વામી ભદ્રેશદાસજી (BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી)ના સંયુક્ત નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્યાત સંતો, મહાત્માઓ, ધર્મગુરુઓ અને વિદ્વાન મહાનુભાવોએ ભાગ લીધો હતો.
સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કાર્યક્રમ
સમગ્ર રાષ્ટ્રમાં પરસ્પર સ્નેહ, સૌહાર્દ, અને સંવાદિતા સાથે સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પર આ.મ.મ.સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ, મ.મ.સ્વામી પુણ્યાનંદ ગિરી મહારાજ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, સ્વામી જ્ઞાનાનંદ મહારાજ, સ્વામી બાલકાનંદ ગિરિ મહારાજ, સ્વામી પ્રણવાનંદ સરસ્વતી મહારાજ, મ.મ.સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરિ મહારાજ, સ્વામી ગોપાલશરણદેવાચાર્ય મહારાજ, જૈન આચાર્ય લોકેશ મુનિજી મહારાજ, ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), નૃપેન્દ્ર મિશ્રા (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા), આલોક કુમાર (વિશ્વ હિન્દુ પરિષદ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હનુમાન ચાલીસાનો પાઠ અર્પણ કરવો
વિવિધ સંપ્રદાયો-પ્રદેશો-ભાષા-સમુદાયોમાં વિભાજિત રાષ્ટ્રના નૈતિક, ચારિત્ર્ય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સશક્તિકરણ માટે અક્ષરધામ મંદિરના મંચ પર સૌએ એકઠા થઈને સંકલ્પ કર્યો કે શ્રીરામ મંદિરની સ્થાપના પહેલાં લાખો-હજારો ભક્તોએ હનુમાનજી જેવી ભક્તિ જગાડવા માટે સમર્પિત થવું જોઈએ. આ માટે હનુમાન ચાલીસાનો પાઠ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવો જોઈએ. આ વિશિષ્ટ ભક્તિ દેશભક્તિ, વિશ્વ કલ્યાણ અને ભાઈચારાનું પણ મૂળ હોવાથી, તેની વિધિ આગામી શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા સુધી ચાલુ રાખવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત કથા-પ્રવચનો, પુસ્તક-નિબંધ લેખન, સુંદરકાંડ આધારિત કથાઓ, પરિષદો, પરિસંવાદો, સ્પર્ધાઓ વગેરે અનેક પ્રકારની ભક્તિ પ્રવૃત્તિઓ પણ વર્ષભર ચાલુ રહેશે.
રામમંદિરનો માર્ગ સત્યનો માર્ગ છે
ચંપત રાય (શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા)એ જણાવ્યું, “1983-1984માં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શિબિરમાં સરસંઘચાલક બાલાસાહેબ દેવરસે કહ્યું હતું કે,‘દેશ આઝાદ થઈ ગયો છે તો ક્યાં સુધી રામ જન્મભૂમિ પર તાળા લાગેલા રહેશે?’ મને સ્વ. અશોક સિંઘલ કહેતા કે ‘હું રામમંદિર દ્વારા રાષ્ટ્રમંદિરનું નિર્માણ કરવા ઈચ્છું છું.’ રામમંદિરનો માર્ગ સત્યનો માર્ગ છે. કરોડો લોકોએ તેના માટે કષ્ટ સહ્યાં છે. આજે આ સભા અને સંતો મહંતોને જોઈને એ સપનું સાકાર થતું જણાય છે. આજે રામ મંદિરના નિર્માણમાં રૂપમાં રાષ્ટ્રના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે કારણકે દેશના ૩ લાખ ગામડાઓમાંથી ઇંટો(શિલા) પૂજન થઈને અયોધ્યામાં પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો સ્વયંસેવકોએ સતત 42 દિવસ સુધી ઘરે ઘરે જઈને “નિધિ એકત્રીકરણ” કાર્યક્રમ હેઠળ રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકઠું કર્યું છે.”
શતકોટી હનુમાન ચાલીસા અભિયાન
સ્વામી ગોવિંદદેવ ગિરિ (રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ, કોષાધ્યક્ષ અયોધ્યા)એ જણાવ્યું, “રામમંદિર નિર્માણ અંતર્ગત શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ રામ મંદિર નિર્માણ બાદ સંસારની કોઈ પણ દુષ્ટ શક્તિ મંદિરને નુકસાન ન પહોંચાડે તે છે અને તે માટે ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ જરૂરી છે અને સમગ્ર દેશમાં હનુમાનજીની અપાર શક્તિનો સંચાર થાય તે આવશ્યક છે કારણકે આ રામમંદિરએ રાષ્ટ્રનું મંદિર છે. હનુમાનજીનો મહિમા સ્વયં ભગવાન શ્રીરામ ગાય છે. હનુમાન ચાલીસાના પાઠથી દેશમાં શક્તિમય, મંગલમય વાતાવરણ સર્જાશે. “શતકોટી હનુમાન ચાલીસા અભિયાન” દ્વારા સમગ્ર દેશમાં હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવશે જેનાથી સમગ્ર દેશના નાગરિકોમાં હનુમાનજીના ગુણો આવશે અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થશે અને સમાજ સંગઠિત થશે. આજે આપણે એક સંકલ્પ લઈએ કે, “રામમંદિર પ્રતિષ્ઠા પહેલા આ હનુમાન ચાલીસાના પાઠ કરીને આપણે ભગવાન શ્રીરામને અનુષ્ઠાન રૂપી અંજલિ આપીશું”

મહાવીર જયંતિ પર હું પણ ચાલીસાનું પઠન કરીશ
જૈન આચાર્ય લોકેશ મુનિ મહારાજે જણાવ્યું, “હું સમગ્ર વિશ્વના જૈન ધર્મગુરુઓને સંદેશો આપવા માગું છું કે,”જેમ આપણાં ધર્મમાં ભગવાન આદિનાથ અને ભગવાન મહાવીરનું સ્થાન છે તેવું જ ભગવાન શ્રી રામનું સ્થાન પણ જૈન ધર્મમાં છે અને જેટલું માહાત્મ્ય નવકાર મંત્રનું છે એટલું જ માહાત્મ્ય હનુમાનચાલીસાનું છે. ૪ એપ્રિલે ભગવાન મહાવીર જયંતિ છે અને તે શુભ દિવસથી હું પણ હનુમાનચાલીસાનું પઠન શરૂ કરીશ”.
ભારત જરૂર વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરશે
વિશ્વ હિન્દુ પરિષદના આલોક કુમારે જણાવ્યું, “શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનું આયોજન સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો પરંતુ લાખો લોકોનું બલિદાન, 3 લાખ ઈષ્ટિકારૂપી શિલા પૂજનનું આયોજન, 10 કરોડ પરિવારો તેમજ 65 કરોડ લોકોનું મંદિર નિર્માણ માટે દાન વગેરે યાદ કરીને મને દ્રઢ વિશ્વાસ આવી ગયો કે આ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થશે. હનુમાનચાલીસાના પાઠ દ્વારા ભારત જરૂર વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરશે.”
જન જન સુધી રામને પહોંચાડવાનું માધ્યમ
પ્રણવાનંદ સરસ્વતીએ જણાવ્યું, “આ આંદોલન જન જન સુધી રામને પહોંચાડવાનું માધ્યમ છે. આ અભિયાન સાથે જોડાઈને હું ગૌરવ અનુભવું છું. આપણો સંકલ્પ રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ એકતાનો છે.”

રાષ્ટ્રવાદ એ અધ્યાત્મસહિત હોવો જોઈએ
સ્વામી ભદ્રેશદાસએ (BAPS સ્વામિનારાયણ શોધ સંસ્થાન, અક્ષરધામ, નવી દિલ્હી) જણાવ્યું, “શતકોટી હનુમાન ચાલીસાના પાઠના આયોજનની પ્રથમ ચર્ચા આચાર્ય ગોવિંદ દેવગીરી મહારાજ સાથે ઈન્ડોનેશિયા દેશમાં થઈ હતી. રાષ્ટ્રવાદ એ અધ્યાત્મસહિત હોવો જોઈએ અને ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય રાષ્ટ્રવાદ અધ્યાત્મથી વિચલિત થયો નથી. મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું છે કે, “જે કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરશે તે સદગુણ યુક્ત બની જશે” આજે સ્વામિનારાયણ અક્ષરધામથી જે આધ્યાત્મિક ચેતનાની શરૂઆત થઈ રહી છે તે ક્યારેય અટકવાની નથી. આ આયોજન શતકોટીમાં જ નહિ પરંતુ સહસ્ત્ર શતકોટીમાં પણ અટકશે નહિ એવો મને દ્રઢ વિશ્વાસ છે. આજે પ્રમુખસ્વામી મહારાજ પણ અક્ષરધામમાંથી આ નિહાળી રહ્યા હશે, યોગાનુયોગ તેમના વરદહસ્તે રામ મંદિરની પ્રથમ ઇષ્ટિકાનું પૂજન થયું હતું અને આ દિવ્ય પ્રકલ્પની શરૂઆત પણ આજે અક્ષરધામમાંથી થઈ રહ્યી છે.”
આપણે સૌ આ દિવ્ય મંદિર નિર્માણના સાક્ષી બનીશું
મ.મ.સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરિ મહારાજે જણાવ્યું, “આજે મને “1983-84ની ઘટનાઓ યાદ આવે છે. જ્યારે વિજ્ઞાન ભવનથી શ્રીરામ જન્મભૂમિ માટેના પ્રયત્નો ધર્મ સંસદ દ્વારા શરૂ થયા હતા. આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કારણકે આપણે સૌ આ દિવ્ય મંદિર નિર્માણના સાક્ષી બની રહ્યા છીએ અને 1000 વર્ષ સુધી મંદિર રહી શકે તેવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને હજારો વર્ષ સુધી સનાતન ધર્મની પણ રક્ષા આવા પ્રકલ્પ દ્વારા થશે તેવું હું દ્રઢપણે માનું છું. આજે અશોક સિંઘલને જરૂર યાદ કરવા જોઈએ કારણકે તેમને સમગ્ર જીવન દરમિયાન રામ સિવાય બીજું કોઈ કામ નથી કર્યું.”
સનાતન ધર્મની સંસ્કૃતિ અજર અને અમર છે
પૂજ્ય સ્વામી ગોપાલશરણદેવાચાર્ય મહારાજે જણાવ્યું, “શતકોટી હનુમાન ચાલીસા આયોજનમાં જોડાયેલા તમામ લોકો વંદનીય છે. આપણી સરકાર સનાતન સંસ્કૃતિ, માતૃશક્તિ તેમજ ગૌ શક્તિના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ છે. હનુમાનજી મહારાજ કોઈ એક દેશના નથી પરંતુ પ્રત્યેક દેશ અને સમગ્ર વિશ્વના છે અને દેવાધિદેવ મહાદેવજીના અંશ છે. સનાતન ધર્મની સંસ્કૃતિ અજર અને અમર છે.”

હિન્દુ સ્વાભિમાનના મજબૂત પાયા સમાન છે
સ્વામી જ્ઞાનાનંદ મહારાજે જણાવ્યું, “આજે પણ ગામડે ગામડેથી પૂજન થઈને આવેલી રામ શિલાઓ યાદ આવે છે. જાન્યુઆરી 2024માં ભગવાન રામની પ્રતિષ્ઠા થશે તેની સાથે સાથે જન જનના હૃદયમાં પણ ભગવાન રામની પ્રતિષ્ઠા થશે. સ્માર્ટ સિટીની સાથે સાથે સ્માર્ટ સિટીઝન બને તે માટે જન જનના હૃદયમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થવી જરૂરી છે અને આવનારા વર્ષો સુધી આજનો આ શુભ દિવસ અને શતકોટી હનુમાનચાલીસા પાઠનું આયોજન યાદ કરવામાં આવશે. રામમંદિરનો મજબૂત પાયો એ રાષ્ટ્ર નિર્માણના અને હિન્દુ સ્વાભિમાનના મજબૂત પાયા સમાન છે.”
યુવાઓને સનાતન ધર્મ સાથે જોડવાનું આયોજન
મ.મ.સ્વામી પુણ્યાનંદ ગિરી મહારાજે જણાવ્યું, “શતકોટી હનુમાન ચાલીસાનું આયોજન ખૂબ જ પ્રશંસનીય છે અને જો રોજ સવારે ઘરમાં ગાવામાં આવશે તો ઘરના નાના બાળકોને પણ કંઠસ્થ થઈ જશે અને ભલે તેમને લખતા વાંચતા આવડતું નહિ હોય તો પણ સાંભળીને શીખી જશે. હનુમાન ચાલીસા દ્વારા બાળકો અને યુવાઓને સનાતન ધર્મ સાથે જોડવાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે.”
ભગવાન શ્રી રામ એ સૃષ્ટિના કણ કણમાં વસેલા
સ્વામી મ.મ. બાલકાનંદ ગિરિ મહારાજે જણાવ્યું, “આ શતકોટી હનુમાન ચાલીસા સંકલ્પ એ એક દિવસમાં પણ પૂર્ણ થઈ શકે તેમ છે. ભગવાન શ્રી રામ એ સૃષ્ટિના કણ કણમાં વસેલા છે. શ્રી રામદેવજી મહારાજ જેમ રોજ સવારે સમગ્ર વિશ્વના લાખો લોકોને યોગ કરાવે છે તે રીતે આપણે પણ રોજ સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરીશું તો શતકોટીનો સંકલ્પ એક જ દિવસમાં પૂર્ણ થઈ જશે તેવું હું દ્રઢપણે માનું છું.”

પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા આ રાષ્ટ્રનું નિર્માણ
સ્વામી બાબા રામદેવજીએ (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર) જણાવ્યું, “સ્વામિનારાયણ સંપ્રદાય સમગ્ર ભારત સાધુ સમાજનું ગૌરવ છે અને સાધુ જીવન કેવું હોવું જોઈએ તો તેનું ઉત્તમ ઉદાહરણ બી.એ.પી.એસ સંસ્થાની સંત પરંપરા છે. હનુમાન ચાલીસાના પાઠ કરતા કરતા સ્વયં હનુમાનજી મહારાજ આપણાં હૃદયમાં વસી જશે તેવું હું માનું છું. લાખો વર્ષો સુધી સનાતન રહેશે તેવા ભવ્ય અને દિવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. ઋષિઓએ તેમના પુરુષાર્થ અને પરાક્રમ દ્વારા આ રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે. રામમંદિરની પ્રતિષ્ઠાની સાથે સાથે રામરાજ્ય અને હિન્દુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા થશે. શતકોટી હનુમાનચાલીસા દ્વારા આપણને સાંસ્કૃતિક અને ઐતિહાસિક રામના દર્શન થશે.”
ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના
આ પ્રસંગે BAPS અક્ષરધામ સંસ્થાનના વડા બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે વીડિયોના માધ્યમથી આશીર્વાદ પાઠવ્યા હતા, “ભગવાન રામચંદ્રનું ચરિત્ર સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિરની પ્રતિષ્ઠા માટેનું આ ભક્તિ અનુષ્ઠાન સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક મૂલ્યોનો સંચાર કરશે. અમારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ પણ સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રચારમાં જીવનભર સમર્પિત હતા. શ્રી રામ મંદિરના શિલાપૂજનથી લઈને મંદિર નિર્માણ સુધી તેમણે હંમેશા સક્રિય યોગ આપ્યો હતો. આ ભક્તિમય આયોજન સમગ્ર ભારત અને વિશ્વમાં સફળ થાય તેવી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના.”