હિંમતનગર8 કલાક પહેલા
- કૉપી લિંક

- ગેરરીતિ આચરનારાઓએ હુમલો કરી કૌભાંડની હકીકતો દબાવવાનો પ્રયાસ
ધરોઈ જળાશય યોજના ખાતે તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ કમિશનર ઉપર હુમલો કરાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને આખુંએ પ્રકરણ દેખાય છે તેવું સાદુ અને સરળ નથી કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર ન આવે તે માટે કેટલાક ભ્રષ્ટ કર્મચારી અધિકારીઓ રાજકારણીઓના દોરીસંચારથી ગેરરીતી આચરનારાઓએ હુમલો કરી કૌભાંડની હકીકતો દબાવવા પ્રયાસ કર્યાનું અરજી કરનાર સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે .
પ્રામાણિક તેમજ કર્તવ્ય નિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાનને ધરોઈ ડેમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની 20થી વધુ અરજીઓ થઈ હતી. નામ ન જણાવવાની શરતે એક અરજીકર્તાએ માહિતી આપતા જણાવ્યું કે મત્સ્ય ઉદ્યોગ કમિશનરે ડ્રોન સર્વે કરાવવા સહિત 3 ટીમોના માધ્યમથી તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ ઇતિહાસમાં પ્રથમ વખત કમિશનર દ્વારા અચાનક સ્થળ તપાસ હાથ ધરાતા કર્મચારી અધિકારીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
મત્સ્ય ઉદ્યોગ કમિશનર ઉપર હુમલાનો મામલો
ધરોઈ જળાશય યોજનામાં 10,000 થી વધારે કેઝ (માછલીના વિકાસ માટે બનાવાયેલા બ્લોક) બનાવાયા છે એક કેજમાં 18 બાય 18ના 18 બ્લોક અપાય છે અને રૂ.3 લાખની લોન જેના ઉપર 60 ટકા લેખે લાખો રૂપિયાની સબસીડી આપે છે કમિશ્નર ટીમોની તપાસમાં ધરોઈ જળાશયમાં હાલના તબક્કે માત્ર 1000 જેટલા જ કેઝ (મત્સ્ય વિકાસ માટેના બ્લોક) અસ્તિત્વમાં છે.
કરોડોનું આ કૌભાંડ બહાર ન આવે તે માટે હુમલો કરાયો
તેમજ બાકીના 4000 કેજ નામ પૂરતા ટકાવી રખાયા હોવાનું અને બાકીના 5,000 કેઝ કાગળ પર હોવાની વિગતો બહાર આવતા મત્સ્ય ઉદ્યોગ કમિશનર સ્થળ તપાસ માટે આવ્યા હતા કરોડોનું આ કૌભાંડ બહાર ન આવે તે માટે હુમલો કરાયા હોવાનું આંતરીક સૂત્રો પાસેથી માહિતી મળી છે તેમજ આ અંગેનો વિવિધ ત્રણ કમિટીનો રિપોર્ટ સહિત સાબરકાંઠામાંથી ગેરરીતિની 20થી વધારે અરજીઓના અનુસંધાને મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન ઉપર હુમલો થયાનું બહાર આવ્યું છે.
સનસનીખેજ ખુલાસાઓ થવાની પૂરેપૂરી સંભાવના
જોકે આ અંગે આગામી સમયમાં મત્સ્યોદ્યોગ કમિશ્નરની બદલી કે બીજી કોઈ કાર્યવાહી ન થાય તો અનેક સનસનીખેજ ખુલાસાઓ થવાની પૂરેપૂરી સંભાવના છે. અને કૌભાંડ બહાર ન આવે તેના માટે વિભાગના જ કર્મચારી અધિકારીઓના ધમપછાડા શરૂ થઈ ગયા છે અને રાજકીય ઓથ આપનારા પણ સક્રિય બની ગયાનો સીધો આક્ષેપ થઈ ગયો છે યેનકેન પ્રકારે ફરિયાદ આપવા તૈયાર થયેલ મુખ્ય આરોપીને પણ મોઢું સીવી લેવા મનાવી લઈ સમાધાનના દરવાજા ખુલ્લા રહે તે માટે મનાવી લેવાયાની ચર્ચાએ પણ જોર પકડયું છે. સમગ્ર મામલે મત્સ્યોદ્યોગ કમિશનરનો સંપર્ક કરવા પ્રયત્ન કરવા છતાં સંપર્ક થઈ શક્યો ન હતો.