Sunday, March 12, 2023

બપોરે જમવામાં મળે છે એક રોટલી, આખી રાત બે પગે બેસી રહેવું પડે, દીકરો પૂછે છે, 'પપ્પા ઘરે ક્યારે આવશે?' | Know how Gujarats fisherman live in pakistan jail | Times Of Ahmedabad

ગીર સોમનાથ10 કલાક પહેલાલેખક: સોહેલ સૈયદ

‘અમે સાત લોકો માછીમારી કરવા ગયા હતા. બે જ વખત જાળ નાખી હતી, દરિયામાં અમને એક મહિનો કરતાં પણ ઓછો સમય થયો હતો. અમે ત્રીજી વખત જાળ નાખવાની તૈયારી કરી રહ્યા હતા, એટલામાં તો પાકિસ્તાન મરિનની બોટ અમારી તરફ આવતી દેખાઈ. તેમનાથી બચવા માટે અમે ભાગવાનું વિચાર્યું. પણ પાણીમાં ક્યાં જવાય?. અમારી બોટ પણ એટલી ઝડપે ચાલે નહીં. બસ, થોડી જ વારમાં અમારી સામે બંદૂકો ધરીને અમને પાકિસ્તાન મરિનના જવાનોએ ઘેરી લીધા. સરેન્ડર કર્યા સિવાય છૂટકો જ નહોતો.’ આ શબ્દો છે પાકિસ્તાનની જેલમાં સાત મહિના વિતાવીને આવેલા ગુજરાતના માછીમાર રાજેશ કુમારના. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં સરકારે માહિતી આપી છે કે, ગુજરાતના 560 નિર્દોષ માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. જેમાંથી 274 એટલે કે 49 ટકા માછીમારો તો માત્ર છેલ્લાં બે વર્ષમાં જ પાકિસ્તાન મરિને ઝડપ્યા હતા.

માંડ 20 વર્ષનો છોકરો. પરિવારમાં માતા અને ચાર બહેનો પણ કમાનારો પોતે એક જ સભ્ય. પેટિયું રળવા માટે માછીમારી કરવા ગયો હતો. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રાજેશ કુમારે પાકિસ્તાન મરિનના હાથે ઝડપાઈ જવાથી લઈને ત્યાંની જેલના દિવસો, પાકિસ્તાનમાં કેદ ગુજરાતના માછીમારોની સ્થિતિ, ભોજન, રહેણી-કહેણી તેમજ વાઘા બોર્ડર થઈને વતન પરત ફરવા સુધીનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો.

મધદરિયેથી કરાચીની જેલ સુધી કેવી રીતે પહોંચ્યા?
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં રાજેશ કુમારે કહ્યું, ‘પાકિસ્તાન મરિનના જવાનોએ અમારી બોટ પર આવીને દોરડા વડે અમારા હાથ બાંધી દીધા. ત્યાર બાદ મારા સહિત સાતેય લોકોની તપાસ કરવામાં આવી. આટલા જ સમયમાં એક-બે જવાનો અમારી બોટમાં ફરી વળ્યા. જે પણ કાગળિયા મળ્યાં એ બધાં પોતાની પાસે રાખી લીધા. પછી તેમનો એક ઉપરી અધિકારી બોલ્યો, ‘ઈન સબ લોગોં કો અબ અપની બોટ મેં લે આઓ.’

અમારા સાથીદારોમાંથી એકે કહ્યું, ‘અમે તો ભારતના જ દરિયામાં માછીમારી કરતા હતા, પાકિસ્તાન બાજુ નહીં.’

પેલા અધિકારીએ તેને ચૂપ રહેવાનો અને તેમની બોટમાં ચડી જવાનો ઈશારો કર્યો

સાતેય લોકો હવે કેદી હતા. ચૂપચાપ પાકિસ્તાન મરીનની બોટમાં બેસી ગયા અને પછી બોટ કિનારા તરફ આગળ વધવા લાગી.

પાકિસ્તાને પકડેલા ભારતીય માછીમારો.

પાકિસ્તાને પકડેલા ભારતીય માછીમારો.

એ અનુભવ ખરેખર ખૌફનાક હતો
રાજેશ કુમારે આ ઘટનાને વર્ણવતા કહ્યું કે, ‘અગાઉ બીજા માછીમારો સાથે બનેલી ઘટનાઓ સાંભળીને અમને એટલી તો ખબર હતી કે આ લોકો કરાચી બંદરે લઈ જશે. પરંતુ આ અનુભવ ખરેખર ખૌફનાક હતો. બીજા દેશની જમીન, બીજા દેશની ભાષા, બીજા દેશના નિયમ, કાયદા અને અમે લોકો એ બધાથી જ અજાણ.’

‘થોડીવારમાં અમે કરાચી બંદરે પહોંચી ગયા. કિનારે ઊતરતા જ બીજા કેટલાક જવાનો આવ્યા, એમણે કાગળમાં કંઈક નોંધ્યું અને ત્યાર બાદ અમને બધાને એક કોર્ટમાં લઈ જવાયા. પહેલીવાર અમે કોર્ટ જોઈ. અમારા વિશે લખેલા કેટલાક કાગળ જજે વાંચ્યા.’

અમે ફરીથી અમારા બચાવમાં જજને રજૂઆત કરી, ‘અમે તો ભારતના દરિયામાં જ હતા. અમને ખોટી રીતે ઝડપી લેવામાં આવ્યા છે. જો કે દરિયામાં આપેલી દલીલ બાદ ફરીવાર અમને નિરાશા મળી, અમારી કોઈ વાત સાંભળવામાં ન આવી. કોર્ટમાં શું થયું એનો તો ખાસ ખ્યાલ ન આવ્યો પણ અમને એક ગાડીમાં બેસાડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા.’

પાકિસ્તાનની જેલમાંથી પાછા આવેલા માછીમારે જણાવ્યા મુજબ જેલમાં પહોંચતાં જ તેઓ કોણ છે?, ક્યાંથી આવ્યાં?, નામ શું છે?, કેટલા સમયથી માછીમારી કરો છે?, જાણી જોઈને પાકિસ્તાન તરફ કેમ આવી ગયા? વગેરે સવાલો વારંવાર કરવામાં આવતા હોય છે.

કરાચીના પોલીસ સ્ટેશનમાં જમી રહેલા ભારતીય માછીમારો.

કરાચીના પોલીસ સ્ટેશનમાં જમી રહેલા ભારતીય માછીમારો.

પાકિસ્તાનની જેલમાં માછીમારોને કેવું ભોજન મળે છે?
રાજેશ કુમારના મતે, ‘જેલમાં બેથી ત્રણ પોલીસ જવાનો એવા હતા, જે ખરાબ રીતે વર્તન કરતા હતા. દિવસ દરમિયાન ભોજનના નામે ફક્ત 5 રોટલી મળતી હતી, ક્યારેક શાક મળે, એ પણ નાનકડી વાટકીમાં. 5 રોટલીમાંથી 2 રોટલી સવારે, 1 બપોરે અને 2 રોટલી સાંજના સમયે મળતી હતી. આટલામાં માણસનું પેટ કેવી રીતે ભરાય?’

જેલની બેરેકમાં એટલા લોકોને કેદ કરવામાં આવે છે કે ત્યાં પડખું ફેરવવાની પણ જગ્યા રહેતી નથી.

જેલની બેરેકમાં એટલા લોકોને કેદ કરવામાં આવે છે કે ત્યાં પડખું ફેરવવાની પણ જગ્યા રહેતી નથી.

‘જેલમાં કેટલાક કેદીને આખી રાત બે પગે બેસી રહેવું પડે છે’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રાજેશ કુમારનાં માતા કમલાબેને દીકરાએ પાકિસ્તાનની જેલમાં વિતાવેલા કપરા દિવસો ભાવુક થઈને યાદ કર્યા હતા. દીકરા પાસેથી સાંભળેલી વાતોને યાદ કરતાં તેમણે કહ્યું, ‘કરાચીની લાંડી જેલમાં ગુજરાતના માછીમારોને ખૂબ પરેશાન કરવામાં આવે છે. એક સમયે જેલની બેરેકમાં એટલા લોકોને કેદ કરવામાં આવે છે કે ત્યાં પડખું ફેરવવાની પણ જગ્યા રહેતી નથી, માછીમારોને માત્ર એક જ પડખે ઊંઘવું પડે છે. જો જગ્યા ન મળે, તો ક્યારેક આખી-આખી રાત બે પગે બેસી રહેવાનો પણ વારો આવે. બેરેકમાંથી પણ માત્ર બે કલાક માટે જ બહાર કાઢવામાં આવતા હતા.’ જો કે કમલાબેને તેમનો દીકરો પકડાઈ ગયા બાદ વતન પરત લાવવા માટે અથાક પ્રયત્નો કર્યા, વેરાવળ ફિશરિઝથી લઈને ગાંધીનગર, ત્યાંથી કેન્દ્ર સરકારના ગૃહ તેમજ વિદેશ વિભાગ અને પાકિસ્તાન એમ્બેસી સુધી પુરાવા મોકલ્યા અને અંતે સાત મહિનામાં જ રાજેશને પાકિસ્તાનની કેદમાંથી છુટકારો અપાવવામાં સફળ રહ્યાં. પરંતુ બધાના નસીબ રાજેશ જેવા હોતા નથી.

ગુજરાતમાં એવાં ઘણાં ઘર છે, જેમના માટે સમય તો વર્ષો પહેલાંં જ અટકી પડ્યો છે. કારણ કે આ ઘરમાં રહેતાં મહિલા, બાળકો, વૃદ્ધોને ખ્યાલ જ નથી કે પાકિસ્તાનની જેલમાં કેદ તેમના ઘરનો મોભી ક્યારે ડેલીએ આવીને દસ્તક દેશે.

‘હા ભાઈ, એ તારીખ તો મને બરોબર યાદ છે. 9 જાન્યુઆરી અને વર્ષ હતું 2019નું. અમારા ગામના જ એક ભાઈ દોડતા આવ્યા ને મને કહ્યું હતું, હીરાબેન તમારા વરને તો પાકિસ્તાનવાળા પકડીને લઈ ગયા.’ આટલું બોલતાં-બોલતાં તો હીરાબેન ચાવડાના ગળે ડૂમો ભરાઈ ગયો.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોટડા ગામમાં રહેતાં હીરાબેન ચાવડા સાથે બનેલી ઘટના કોઈ ફિલ્મી કહાનીથી જરાય ઊણી ઊતરે એવી નથી. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં હીરાબેને જણાવ્યું કે, ‘2017ની સાલમાં અમારાં લગ્ન થયાં. વર્ષ 2018માં અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, મારા પતિએ જ દીકરાનું નામ વિદ્યુત રાખ્યું. મારા પતિ દીપક લાલજીભાઈ ચાવડા માછીમારી કરવામાં ટંડેલનું કામ કરતા હતા. બધું સુખેથી ચાલતું હતું. પરંતુ 2019ના વર્ષની શરૂઆતમાં જ અણધારી આફત આવી. મારા પતિ દરિયામાં માછીમારી કરવા માટે ગયા અને પાકિસ્તાનીઓના હાથે ઝડપાઈ ગયા. એમની સાથે બીજા 15 જેટલા માછીમાર ભાઈઓ પણ હતા.’

4 વર્ષનો દીકરો પૂછે છે, ‘મારા પપ્પા ઘરે ક્યારે આવશે?’
દીપક ચાવડાની જ્યારે પાકિસ્તાન મેરિટાઈમ સિક્યોરિટી એજન્સીએ ધરપકડ કરી ત્યારે તેમના દીકરા વિદ્યુતની ઉંમર માત્ર 4થી 5 મહિનાની હતી. હાલમાં વિદ્યુતને પાંચમું વર્ષ ચાલે છે. એટલે પિતાની સ્મૃતિના નામે આ માસૂમના નસીબમાં માત્ર કેટલીક તસવીરો અને મમ્મીના મોઢે સાંભળેલી પિતાની વાતો જ છે. વિદ્યુત ક્યારેક સવાલ પણ કરે છે કે, ‘મારા પપ્પા ઘરે ક્યારે આવશે?’, આ પાંચ શબ્દોના સવાલના જવાબ માટે ન જાણે કેટલા શબ્દકોષ ખૂટી પડે!

‘હવે, તો જેલમાંથી કાગળ પણ નથી આવતા’
દીપક ચાવડા ચાર વર્ષથી પાકિસ્તાનની લાંડી જેલમાં કેદ છે. હીરાબેને જણાવ્યું કે, ‘જાન્યુઆરી 2019માં મારા પતિની ધરપકડ બાદ તેઓ કરાચીની જેલમાંથી અમને પત્ર લખતા હતા. પરંતુ થોડા સમયથી માહોલ બગડી ગયો છે, એટલે હવે પત્ર આવવાના પણ બંધ થઈ ગયા છે. છેલ્લે અમારા બાજુના ગામના 20 માછીમારો પાકિસ્તાનથી છૂટીને આવ્યા હતા. તેમણે અમને કહ્યું હતું કે આપણા લોકો ત્યાં ઘણી મુશ્કેલીમાં છે. ખાવા-પીવાથી લઈને ઊંઘવા સુધીની ઘણી તકલીફો પડી રહી છે. હોળી-ધુળેટી અમારા માછીમારો લોકો માટે મોટો તહેવાર કહેવાય. છેલ્લે અમને વાત મળી હતી કે હોળી સુધી મારા પતિને છોડી દેવામાં આવશે. પણ હજુ કાંઈ ઠેકાણાં નથી. અમારા ગામનો એકપણ માછીમાર છેલ્લાં પાંચ વર્ષથી છૂટ્યો નથી, કહેવું તો સારું નથી લાગતું પણ હવે ઘણા પરિવારે તો આશા પણ છોડી દીધી છે.

પાકિસ્તાનથી એક પત્ર આવ્યો ને આખું ગામ હીબકે ચઢ્યું
સૌરાષ્ટ્રના આ નાનકડા ગામમાં પાકિસ્તાનની લાંડી જેલમાંથી એક ટપાલ પહોંચે છે. સંજયભાઈ નામના માછીમારે પત્રમાં લખ્યું કે, ‘અમારી સાથે જેલમાં કેદ થયેલા નાનુભાઈ કામળિયાનું મોત થઈ ગયું છે.’

ગામ- વાંસોજ
તાલુકો- ઉના
જિલ્લો- ગીર સોમનાથ

મૃત્યુના બે મહિના બાદ ગુજરાત આવેલી નાનુભાઈ કામળિયાની ડેડબોડી.

મૃત્યુના બે મહિના બાદ ગુજરાત આવેલી નાનુભાઈ કામળિયાની ડેડબોડી.

બે મહિને પાકિસ્તાનથી લાશ ભારત આવી
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા નાનુભાઈના ભત્રીજા બિજલ કામળિયાએ કહ્યું કે, ‘મારા કાકાને દીકરા કે દીકરી હતાં નહીં, હું તેમનો ખૂબ લાડકવાયો હતો. જ્યારે માછીમારી કરવા નીકળ્યા ત્યારે મને કહ્યું હતું કે દીકરા દિવાળી પહેલાં તો હું આવી જઈશ. પણ શું ખબર હતી કે કાકા દિવાળીએ તો નહીં જ આવે, પણ ત્રણ વર્ષ બાદ તેમની લાશ ઘરે લાવવામાં પણ બે મહિના સુધી મથામણ કરવી પડશે.’

પાકિસ્તાનની જેલમાંથી માછીમારે શું લખીને મોકલ્યું?
ઉના તાલુકાના વાંસોજ ગામમાં રહેતા નાનુભાઈ કામળિયા અને તેમના સાથી માછીમારોને નવેમ્બર 2018માં પાકિસ્તાન મરિનના જવાનો ઉઠાવી ગયા હતા. પાકિસ્તાનની જેલમાંથી નાનુભાઈએ અંતિમશ્વાસ સુધી લખેલા પત્રોને આજે પણ તેમના ભત્રીજાએ સાચવી રાખ્યા છે. કારણ કે સરહદની પેલે પાર જેલની કોટડીમાં રહી લખાયેલા આ પત્રના એક-એક શબ્દોમાં લાગણીનો સાગર છે.

નાનુભાઈએ કરાચીની જેલમાંથી પરિવારને લખેલો પત્ર.

નાનુભાઈએ કરાચીની જેલમાંથી પરિવારને લખેલો પત્ર.

પત્રમાં નાનુભાઈએ લખ્યું હતું?

  • અમે અહિંયાં ખાઈ-પીને ખુશી મજામાં છીએ, તમે પણ બધા ખાઈ-પીને ખુશી મજામાં રહેજો.
  • બધા સંપીને રહેજો, ગોવિંદ અને બીજલ તમે ફઈનું ધ્યાન રાખજો, ભૂપતને ત્યાં પણ જતા આવજો.
  • છોકરાઓનું ભણવાનું ધ્યાન રાખજો. વસંતને કહેજે તું ખાસ ભણવામાં ધ્યાન રાખજે, અવિનાશ અને હાર્દિકને પણ ભણાવજો.
  • ગોવિંદ અને બીજલ તમે હોટલે જાવ તો ગાડી ધીમે હાંકીને જજો.
  • ઈન્ડિયામાં અમારા છૂટવાના કોઈ વાવડ હોય તો વળતી ટપાલે મોકલજો.
  • બીજલભાઈ તમે ટપાલ મોકલો તો તેમાં પૈસા સિવાય બધું નાખજો.
  • અમે જલદી ઘરે આવી જઈશું એવી માતાજીને પ્રાર્થના કરજો.
નાનુભાઈ કામળિયા અને તેમનું ડેથ સર્ટિફિકેટ.

નાનુભાઈ કામળિયા અને તેમનું ડેથ સર્ટિફિકેટ.

…પણ નાનુભાઈની વતન આવવાની ઈચ્છા અધૂરી રહી
પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યા બાદ નાનુભાઈનું મૃત્યુ થયું. કાકાની વતન આવવાની ઈચ્છાને ભત્રીજાએ ખૂબ જ ગંભીરતાથી લીધી અને કાકાના મૃતદેહને પાકિસ્તાનથી વતન લાવવા માટે સતત મથામણ કરી. સાંસદ થકી રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો, પુરાવા મોકલ્યા, ભલામણો થઈ અને અંતે નાનુભાઈનો મૃતદેહ બે મહિના બાદ પાકિસ્તાનથી વતન લવાયો અને સાથે આવ્યું ડેથ સર્ટિફિકેટ. જેમાં લખ્યું હતું કે નાનુભાઈનું શ્વાસની બીમારીના કારણે મૃત્યુ થઈ ગયું છે.

નાનુભાઈના ભત્રીજા બીજલ કામળિયાનું કહેવું છે કે ‘પાકિસ્તાનમાં આપણા માછીમારો સાથે ઘણું ખોટું થઈ રહ્યું હોય તેમ લાગે છે, કારણ કે મારા કાકા એકદમ સ્વસ્થ હતા, તેમને કોઈ જ બીમારી હતી નહીં, તો પછી ત્રણ જ વર્ષમાં શ્વાસની તકલીફના કારણે કેવી રીતે મૃત્યુ થઈ શકે?’

માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવીને વતન લાવવા માટે વર્ષોથી ઝઝૂમતા વરિષ્ઠ પત્રકાર જતિન દેસાઈ અને સામાજિક કાર્યકર્તા વેલજીભાઈ મસાણી સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી.

‘ભારત-પાકિસ્તાન વચ્ચે માત્ર કહેવા પૂરતા જ એગ્રીમેન્ટ’
જતિન દેસાઈએ જણાવ્યું કે, ‘હાલમાં પાકિસ્તાનની જેલમાં 654 ભારતીય માછીમારો કેદ છે, જેમાંથી 631 ઓળખ થઈ છે અને તેમની સજા પૂરી થઈ ગઈ છે, છતાં તેમને છોડવામાં નથી આવ્યા. આ પરિસ્થિતિના સમાધાન માટે 21 મે 2008ના રોજ ભારત અને પાકિસ્તાનના હાઈકમિશનર વચ્ચે એગ્રીમેન્ટ થયા હતા. જેની પાંચમી કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, જે કેદીની સજા પૂરી થઈ ગઈ હોય અને તેની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય તેને એક મહિનાની અંદર છોડી મૂકવા. પરંતુ તેનું પાલન થતું નથી.’

ડાબેથી સામાજિક કાર્યકર વેલજીભાઈ મસાણી અને પત્રકાર જતિનભાઈ દેસાઈ.

ડાબેથી સામાજિક કાર્યકર વેલજીભાઈ મસાણી અને પત્રકાર જતિનભાઈ દેસાઈ.

કાયદા મુજબ તો 6 મહિનાની સજા થવી જોઈએ
જો કોઈ માછીમાર ભૂલથી પાકિસ્તાનની જળસીમામાં જતો રહે તો તેના પર વાયોલેશન ઓફ પાસપોર્ટ એક્ટ અને વાયોલેશન ઓફ ફોરેન્ટ એફેક્ટનો કેસ ચાલે છે, જેની વધુમાં વધુ સજા 6 મહિનાની હોઈ શકે. પરંતુ ઘણીવાર સજાની જાહેરાત જ કોર્ટમાં એક વર્ષ પછી થાય. ઘણા માછીમારો પાંચ-પાંચ વર્ષે પણ વતન પરત આવી શકતા નથી. કારણ કે જ્યારે પાકિસ્તાન સરકારને લાગે કે અમે આ કેદીઓને એવા સમયે છોડીએ જેથી રાજકીય લાભ મળે ત્યારે જ તેમને છોડવામાં આવે છે. એટલે આ એગ્રીમેન્ટનું રીતસર ઉલ્લંઘન છે.

એગ્રીમેન્ટમાં કુલ સાત કલમ છે. જેમાં પહેલી કલમ મુજબ દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ બન્ને દેશમાં એકબીજાના કેટલા કેદી છે, તેની માહિતી આપવાનો ઉલ્લેખ છે. ભારત અને પાકિસ્તાન એગ્રીમેન્ટ બાદ આ કલમનું પાલન કરતા આવ્યા છે. એટલે કે એગ્રીમેન્ટનું સુવિધા અનુસાર જ પાલન થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા એગ્રીમેન્ટ સમયની તસવીર.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા એગ્રીમેન્ટ સમયની તસવીર.

માછીમારોના અપહરણ માટે પાકિસ્તાન મરિન ક્યાં સુધી આવે છે?
આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દરિયા કિનારાથી જે તે દેશની બોર્ડર 12 નોટિકલ માઈલની હોય છે. 12 નોટિકલ માઈલ બાદ 200 માઈલ સુધી એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન હોય છે. એટલે ભારત-પાકિસ્તાન વચ્ચે તો આટલું અંતર છે જ નહીં. એટલે માછીમારોના અપહરણની ઘટના 12 નોટિકલ માઈલના આસપાસના વિસ્તારમાં જ થતી હોય છે.

માછીમારોને વતન પરત લાવવા માટે વર્ષ 1989થી સક્રિય રહેલા વેલજીભાઈ મસાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ‘મોટાભાગના માછીમારો ઈન્ટરનેશનલ મેરિટાઈમ બોર્ડર લાઈન (IMBL) જાણીજોઈને પાર નથી કરતા. ક્યારેક દરિયો તોફાની બને તો બોટ 20થી 25 કિલોમીટર સુધી દૂર જતી રહેતી હોય છે, ઘણીવાર પાકિસ્તાન મરિનના જવાનો પણ ભારતીય જળસીમામાં ઘૂસીને માછીમારોને પકડી જતા હોય છે.’

પાકિસ્તાન જેલમાંથી માછીમારની ઓળખ કઈ રીતે થાય?

  • માછીમારની ઓળખ માટે ઈસ્લામાબાદ ખાતે ભારતીય દૂતાવાસના અધિકારીઓ કામ કરે છે
  • ભારતીય દૂતાવાસના અધિકારીઓ કરાચીની લાંડી જેલમાં જઈ માછીમારોને મળે છે
  • માછીમારો પાસેથી તેનું નામ, સરનામું તેમજ તેનો ફોટો વગેરે માહિતી લેવામાં આવે છે
  • આ તમામ માહિતી ભારત સરકાર સુધી પહોંચે છે
  • ભારત સરકાર આ માહિતી જે તે રાજ્યોને પહોંચાડે
  • રાજ્ય સરકાર પોલીસના માધ્યમથી માછીમારે આપેલી માહિતીની ખરાઈ કરે

શું ગુજરાતી ઓળખ હોવાથી પાકિસ્તાનમાં માછીમારો સાથે ભેદભાવ થાય?
વેલજીભાઈ મસાણી જણાવે છે કે, ‘કેટલાક સમય પહેલાં વેરાવળની બોટમાં ગયેલા આંધ્રપ્રદેશના 20થી 22 માછીમારોને પાકિસ્તાને ઝડપી પાડ્યા હતા. એમની ઓળખ થઈ એટલે તરત જ છોડી દેવામાં આવ્યા. પણ માછીમારો પર ગુજરાતનો સિક્કો લાગે એટલે જલદી છોડતા નથી.’

માછીમારો પકડાયા બાદ પાકિસ્તાનને જાણ કરવાની જૂની પદ્ધતિ

  • ગુજરાતનું ફિશરિઝ વિભાગ પકડાયેલા માછીમારોની માહિતી કેન્દ્ર સ્તરે મોકલી
  • કેન્દ્રીય ફિશરિઝ વિભાગ આ માહિતી કેન્દ્રીય ગૃહ વિભાગને મોકલે
  • ગૃહ વિભાગ આ ફાઈલ વિદેશ વિભાગને આપે
  • વિદેશ વિભાગ તેને દિલ્હી ખાતે પાકિસ્તાન દૂતાવાસમાં મોકલે
  • પાકિસ્તાન દૂતાવાસ આ માહિતી ઈસ્લામાબાદ સુધી પહોંચાડે
  • પાકિસ્તાન સરકાર કરાચીના જેલ વિભાગને ફાઈલ મોકલી માછીમારની ઓળખની ખરાઈ કરે

છેલ્લા કેટલાક સમય પહેલાં આવેલા ફેરફાર મુજબ હવે ભારત સરકારનું વિદેશ વિભાગ જ માછીમારોની ઓળખ મુદ્દે વિવિધ વિભાગે સાથે સંકલન કરી લે છે. એટલે કે જે તે રાજ્યનું ફિશરિઝ વિભાગ સીધી જ માહિતી વિદેશ વિભાગને પહોંચાડે છે, જેથી ઝડપી કાર્યવાહી થઈ શકે.

માછીમાર વતન પરત કેવી રીતે આવે છે?

  • પાકિસ્તાન સરકાર માછીમારોને કરાચીથી વાઘા બોર્ડર સુધી લાવે છે
  • વાઘા બોર્ડર પર ભારત તરફથી તમામ માછીમારોનું ચેકિંગ થાય છે
  • ભારતીય એજન્સીઓ માછીમારોની પૂછપરછ કરે છે
  • વાઘા-અટારી બોર્ડરથી ટ્રેન મારફતે તમામ માછીમારોને વતન સુધી પહોંચાડાય છે
  • વતનમાં માછીમારો પહોંચ્યા તેની પણ નોંધ રાખવામાં આવે છે
  • માછીમારોને વતન પહોંચાડવાનો તમામ ખર્ચ ભારત સરકાર ઉપાડે છે

પાકિસ્તાનથી ભારતીય બોટને પરત લાવવાનો રસપ્રદ કિસ્સો
વર્ષ 2001 બાદ માત્ર એક ઘટનાને બાદ કરતાં પાકિસ્તાને ભારતીય માછીમારોની બોટ પરત નથી આપી. પરંતુ બોટ છોડવાનો અપવાદરૂપ આ કિસ્સો ખૂબ રસપ્રદ છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા વેલજીભાઈએ જણાવ્યું કે, ‘વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્યારે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે ભેટ તરીકે માછીમારોની 57 બોટ પરત આપવાનો નિર્ણય કર્યો હતો, જેને લેવા જનારા લોકોની ટીમમાં હું પણ સામેલ હતો.’

માર્ચ, 2015માં ભારતનું એક પ્રતિનિધિ મંડળ કરાચી પહોંચ્યું હતું, પાકિસ્તાને જે બોટ પાછી આપી, તેના એન્જિનની ચકાસણી કરી. હવે પ્રશ્ન એ હતો કે આ બોટને પરત કેવી રીતે લઈ જવી? આ માટે પાકિસ્તાની માછીમારોનો સંપર્ક કરવામાં આવ્યો. જેમને બોટ ચલાવવાની મહેનતાણું આપવાનું નક્કી થયું અને પછી કરાચી બંદરથી બોટને ગુજરાત તરફ હંકારી દેવામાં આવી. ઘૂઘવાટા ભરતા અફાટ સમુદ્રમાં 57 બોટના કાફલાને પાકિસ્તાન મરિને એસકોર્ટ કર્યો અને IMBL સુધી લઈ આવ્યા. આ તરફ ગુજરાતના કાંઠેથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ કેટલાક માછીમારો સાથે IMBL સુધી આવીને ઊભી હતી. બન્ને દેશોના પ્રતિનિધિઓ અને સુરક્ષા જવાનોએ પ્રોટોકોલ મુજબ બોટને ભારતીય સીમામાં પ્રવેશ આપ્યો. પાકિસ્તાન મરિનના જવાનો અને તેમના માછીમારોને લઈને કરાચી તરફ પાછા ફર્યા હતા, જ્યારે ભારતીય માછીમારો તમામ 57 બોટને પહેલાં ઓખા અને ત્યાર બાદ પોરબંદર લઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…