નડિયાદ7 મિનિટ પહેલા
- કૉપી લિંક
નડિયાદ શહેરમાં ગઈકાલે રામ નવમીને લઈ શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ શોભાયાત્રાના રૂટથી દૂર આવેલા લઘુમતી વિસ્તારમાં બાઈક લઈ જઈ સૂત્રોચાર કર્યા હતા. જેને લઇને તંગદીલી જોવા મળી હતી જોકે, મામલો થાળે પડી ગયો હતો. પરંતુ આજે નડિયાદ ટાઉન પોલીસમાં આ વિસ્તારના લઘુમતી સમાજના લોકોએ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવા માટે અરજી આપી છે.
આ અરજીમાં જણાવ્યું છે કે, રામનવમીનો તહેવાર હતો. જેને લઇ નડિયાદમાં સંતરામ મંદિરથી રુટ મુજબ શોભાયાત્રા નીકળેલ હતી અને ઘણી જગ્યાએ મુસ્લીમ વિસ્તાર આવતાં મુસ્લીમોએ પણ તેમનું સ્વાગત કરેલ હતું અને આ શોભાયાત્રા સુખ અને શાંતીથી સમ્પન્ન થયેલ હતી. પરંતુ કેટલાક અસામાજીક તત્વોએ કોઈ પણ જાતની પરવાનગી નહી હોવા છતાં શહેરના લધુમતી વિસ્તારમાં ઘૂસી ભાઈચારમાં ફુટ પડાવવાની કોશીશ કરી છે. નડિયાદ શહેરની શાંતી ડહોળાઈ તેવા પ્રયાસો કર્યા છે. આ વિસ્તારમાં નારા લગાવી તોફાન કરવાની કોશીસ કરેલ છે. આ બાબતે સી.સી.ટી.વીના ફુટેજ પણ પોલીસને આ અરજી સાથે આપ્યાં છે.