ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર મારફતે પૂરતા દબાણથી વીજ પુરવઠો પૂરો પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
11 કેવી ભારે દબાણની વીજ લાઇનને ફીડર કહેવાય
ફીડરનું વિભાજન કરવાની જરૂર ક્યારે પડે છે અને ફીડરનું વિભાજન કઈ કઈ યોજનાઓ હેઠળ કરવામાં આવે છે તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવા માટે 66 કેવી સબ સ્ટેશનથી વીજ ગ્રાહકના સ્થળ-વિસ્તાર પાસે ઊભા કરવામાં આવેલ ટ્રાન્સફોર્મર સુધી વીજ પુરવઠો આપવા માટે ઊભી કરવામાં આવતી 11 કેવી ભારે દબાણની વીજ લાઇનને ફીડર કહેવામાં આવે છે. જ્યારે 11 કેવી ફીડર પર ફીડરની લોડ વહન કરવાની ક્ષમતા કરતાં લોડ વધે ત્યારે અથવા જ્યારે નવા વીજ ગ્રાહકોને વીજ પુરવઠો આપવા ઊભી કરવાની થતી વીજ લાઇનને કારણે ફીડરની લંબાઈ વધવા પામે છે અને ફીડરની લંબાઈ વધવાને કારણે ફીડરના છેલ્લે આવેલા ગ્રાહકને પૂરતા વોલ્ટેજ ન મળે ત્યારે ફીડરનું વિભાજન કરવાની જરૂર પડે છે.
9 ટકાથી ઓછા વોલ્ટેજ મળે ત્યારે ફીડરનું વિભાજન
વધુમાં કોઈ પણ ફીડરનું વોલ્ટેજ રેગ્યુલેશન 9 ટકા હોવું જોઈએ એટલે કે તે ફીડરના છેવાડે આવેલ વીજ ગ્રાહકને મળવા પાત્ર વોલ્ટેજથી 9 ટકાથી ઓછા વોલ્ટેજ મળે ત્યારે ફીડરનું વિભાજન કરવામાં આવે છે. સરકાર દ્વારા સાગરખેડુ સવાર્ગી વિકાસ યોજના, સરદાર કૃષિ જયોતિ યોજના, નોર્મલ એજી ફીડર બાયફરકેશન યોજના, વનબંધુકલ્યાણ યોજના-2 તથા સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ (એસ.આઈ.) યોજના અંતર્ગત ફીડરનું વિભાજન કરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષમાં 32 નવા ફીડરોનું ઊભા કરાયા
મંત્રીએ વર્ષ 2022 અંતિત છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં નવી ફીડરના નિર્માણ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં વલસાડના ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વલસાડ તથા વાપી તાલુકાઓમાં 495.40 લાખના ખર્ચે કુલ 23 ફીડરો તથા વર્ષ 2022માં ઉમરગામ, કપરાડા, ધરમપુર તથા વલસાડ તાલુકાઓમાં 161.99 લાખના ખર્ચે 9 ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લામાં 657.39 લાખના ખર્ચે 32 નવા ફીડરોનું ઊભા કરવામાં આવ્યા હતા.
વર્ષ 2021માં 12 નવા ફીડરો ઊભા કરાયા
દાહોદ જિલ્લામાં વર્ષ 2022ના અંતે છેલ્લા બે વર્ષમાં નવા ઊભા કરાયેલા ફીડરો અંગે વિગતો આપતા મંત્રીએ ગૃહમાં કહ્યું હતું કે, વર્ષ 2021માં દાહોદ, લીમખેડા, ફતેપુરા, ઝાલોદ, દેવગઢબારિયા, ગરબાડા તથા ધાનપુર તાલુકાઓમાં મળી 131.11 લાખના ખર્ચે 12 નવા ફીડરો ઊભા કરાયા છે. જ્યારે વર્ષ 2022માં દાહોદ, ઝાલોદ, ગરબાડા અને ધાનપુર તાલુકાઓમાં 139.01 લાખના ખર્ચે 8 નવા ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં નવનિર્મિત ફીડરોના પ્રકારની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીવાડી માટે 7, જ્યોતિગ્રામ અંતર્ગત 12 તથા શહેરી વિસ્તારો માટે 1 એમ કુલ 48.01 કિમીની ભારે દબાણવાળી નવી વીજલાઈન મારફતે 207.12 લાખના ખર્ચે કુલ 20 નવા ફીડરો ઊભા કરાયા છે.
વર્ષ 2022માં 24 ફીડરોનું નિર્માણ
ખેડા જિલ્લાની વર્ષ 2022 અંતિત છેલ્લા બે વર્ષની ફીડર વિભાજન અને નવા ફીડરોની માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2021માં નડિયાદ, કઠલાલ, કપડવંજ, માતર, ગળતેશ્વર અને મહુધા તાલુકાઓમાં 150.84 લાખના ખર્ચે 18 નવા ફીડરો ઊભા કરાયા છે. જ્યારે વર્ષ 2022માં નડિયાદ, કઠલાલ, કપડવંજ, ગળતેશ્વર, વસો, મહેમદાવાદ, ઠાસરા તથા ખેડા તાલુકાઓમાં 257.33 લાખના ખર્ચે 24 ફીડરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ, જિલ્લામાં ભારે વીજ દબાણની નવી 42.71 કિમી વીજલાઈન મારફતે ખેતીવાડી માટે 20, જ્યોતિગ્રામ માટે 16, શહેરી વિસ્તારો માટે 4 તથા ઉદ્યોગો માટે 2 એમ મળી 408.17 લાખના ખર્ચે કુલ 42 નવા ફીડરો ઊભા કરવામાં આવ્યા હતા.