ગાંધીધામએક કલાક પહેલા
- કૉપી લિંક
ગાંધીધામમાં શંકાસ્પદ કસ્ટોડીયલ ડેથની ઘટના સામે આવી છે. જેમાં હતભાગીના શરીરે લાકડીના ફટકાના ઘા હોવાનો પણ આરોપ મુકાયો છે. જેથી સત્યતા ચકાસવા માટે લાશને જામનગર મોકલવામાં આવશે.
શહેરના ભારતનગરમાં રહેતા પરબત જોગુ નામના વ્યક્તિને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા તા 25ના રાતના 12 વાગ્યે ઘરેથી અટકાયત કરવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશનના બદલે સીધો ગળપાદર જેલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરબતને તા. 26ના રાતે 8 વાગ્યાની આસપાસ જેલમાં તબિયત બગડતાં રામબાગ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પણ તબિયત ખરાબ થતા ભુજ લઈ આવતા હતા. ત્યાં અંજાર પહોંચતા જ દમ તોડી દીધો હતો.
પરિવારજનોનો આરોપ છે કે, પોલીસના ઢોર મારથી તેનું મોત થયું છે અને શરીરે પગના તળિયામાં, પાછળના ભાગે ઇજાના નિશાન છે. અંજારની હોસ્પિટલમાં હોબાળો થતા અંજાર પ્રાત અધિકારી. ડીવાયએસપી, પીઆઇ સહિતના દોડી આવ્યા હતા અને મોતનું કારણ જાણવા માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં પેનલ પીએમ વીડિયોગ્રાફી સાથે કરાવવાનો નિર્ણય લેવાયો છે. પોલીસના જવાબદારોએ જણાવ્યું કે, પરબતને એ ડિવિઝન પોલીસમાં લઇ જવાયા બાદમાં કોરોનાનો રીપોર્ટ કરવામાં આવ્યો અને કોર્ટના હુકમ મુજબ ગળપાદર જેલમાં મોકલાયો હતો.
પોલીસ દ્વારા તટસ્થ તપાસનો દાવો કરાયો છે. મહત્ત્વનું છે કે, હતભાગીની પત્નીએ ભરણ પોષણનો કેસ ચાર વર્ષ પહેલા કર્યો હતો અને પત્નીએ બીજા લગ્ન પણ કરી લીધા છે. તેમ છતાં છુટાછેડાવાળી પત્નીને ભરણ પોષણની રકમ આપેલી ન હતી. જેથી કોર્ટ દ્વારા તેને ભરણ પોષણ આપવાની વાત કોર્ટના હુકમથી કરવામાં આવેલી હતી. જેથી પોલીસે તેની ઘરપકડ કરવામાં આવી હતી. આ બનાવે ચકચાર જગાવી હતી.