નવસારી36 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભારત સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે ઈ-શ્રમ પોર્ટલનું અમલીકરણ કર્યું છે ત્યારે નવસારી નાગરિક પુરવઠા વિભાગ અને કલેકટર કચેરીનાં સયુંકત ઉપક્રમે નવસારી શહેરમાં શ્રમ કાર્ડ બનાવવા બે દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારી નાગરિક પુરવઠા વિભાગ અને કલેકટર કચેરીનાં સયુંકત ઉપક્રમે નવસારી શહેર સહિત જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલ મિશ્ર શાળા નંબર -2 ખાતે અસંગઠિત ક્ષેત્રના કામદારોને શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન કરવમાં આવી રહ્યું છે. નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારની આજુબાજુમાં આવેલ છ જેટલી સસ્તા અનાજની દુકાનના શ્રમિક લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. અગાઉથી રજીસ્ટ્રેશન કરાવનારા શ્રમિક પરિવારોને ઇ-શ્રમ કાર્ડનું વિતરણ પણ કરવમાં આવ્યું છે.

આવતીકાલના રોજ નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા હોય તો તેમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે. આનો અર્થ એ છે કે જો કામદાર અકસ્માતનો શિકાર બને છે, તો મૃત્યુ અથવા અપંગતાની સ્થિતિમાં, તેને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. જો મજૂર આંશિક રીતે વિકલાંગ છે, તો તેને આ યોજના હેઠળ એક લાખ રૂપિયા મળશે. અસંગઠિત ક્ષેત્રની શ્રેણીમાં દુકાનના કર્મચારી, સેલ્સમેન, હેલ્પર, ઓટો ચાલક, ડ્રાઇવર, પંચર બનાવનાર, ગોવાળ, ડેરી વાળા, તમામ પશુ પાલકો, પેપર હોકર, ડિલીવરી બોય અને ઇંટોની ભઠ્ઠી પર કામ કરનાર મજૂર વગેરેનો સમાવેશ થાય છે. આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કોઇ પણ ભારતીય નાગરિક જેની ઉંમર 16થી 59 વર્ષની વચ્ચે છે, તેઓ પણ આ યોજનામાં રજીસ્ટર થઇ શકે છે.