અમદાવાદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે. જેના કારણે હવે ધીમે ધીમે હોસ્પિટલમાં દાખલ થવાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કોરોનાના વધતા કેસોના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં 20 જટેલા નાના મોટા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે શરૂ કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાંથી ત્રણ જેટલા ઓક્સિજન પ્લાન્ટ હાલમાં બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. દિવ્ય ભાસ્કર દ્વારા શહેરના એલજી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં લગાવવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં એલજી હોસ્પિટલનો ખાનગી કંપની દ્વારા દાનમાં આપવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ બંધ હતો. જ્યારે સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ચ ચાલુ છે.

એલજી હોસ્પિટલ ખાતે પ્લાન્ટ બંધ હાલતમાં
હોસ્પિટલ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, એલજી હોસ્પિટલમાં દાનમાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ મેન્ટેનન્સના કારણે અત્યારે બંધ હાલતમાં છે અને થોડા દિવસમાં કાર્યરત થઈ જશે. ખાનગી કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટ દાનમાં આપવામાં આવ્યો હતો. જેનું મેન્ટેનન્સ હોસ્પિટલને કરવાનું હતું. જેથી હાલ મેન્ટેનન્સના કારણે ઓક્સિજન પ્લાન્ટ બંધ છે. જ્યારે એલજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. લીનાબેન જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા બંને પ્લાન્ટ કાર્યરત છે. પરંતુ દાનમાં આવેલો જે ઓક્સિજન પ્લાન્ટ છે તે હાલમાં બંધ હાલતમાં છે જે ઝડપથી કાર્યરત થઈ જશે.

મેન્ટેનન્સના કારણે ઓક્સિજન પ્લાન્ટ બંધ
દિવ્ય ભાસ્કરે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એવી સૌથી મોટી એલજી હોસ્પિટલમાં ગામમાં આવેલા ત્રણ પ્લાન્ટની તપાસ કરી તો તેમાં કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા બે પ્લાન્ટ ચાલુ હાલતમાં હતા. ત્યારે એક ખાનગી કંપની દ્વારા 1000 લીટર ક્ષમતાનો જે પ્લાન્ટ આપવામાં આવ્યો હતો તે ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે. વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા બે મહિનાથી આ પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો છે. ઓપરેશન અને મેન્ટેનન્સના કારણે આ ઓક્સિજન પ્લાન્ટ બંધ છે.

સાબરમતી અને નરોડા ખાતે પણ પ્લાન્ટ બંધ
જ્યારે સાબરમતી અને નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનો ઓક્સિજન પ્લાન્ટ પણ ટેકનિકલ ખામીના કારણે બંધ હોવાનું સામે આવ્યું છે. નાની એવી ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેથી આ પ્લાન્ટ પણ બંધ હાલતમાં છે. કોરોના વચ્ચે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પૂરતી તૈયારી હોવાના બણગા ફૂંકતા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્રની પોલ આજે ખુલ્લી પડી ગઈ છે. એસવીપી હોસ્પિટલ ખાતે જે વિવિધ ઓક્સિજન પ્લાન્ટ લગાવેલા છે તેમાં તપાસ કરતાં તે તમામ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ હાલતમાં છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પણ જે પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે તે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ હાલતમાં છે.

કોરોના કેસને પગલે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા
કોરોનાના વધતા જતા કેસોના પગલે હજારો દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થતાં ઓક્સિજનની ભારે તંગી સર્જાઇ હતી. કોરોના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે કેન્દ્ર અને રાજય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની ગ્રાન્ટ નાના ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાફાળવી હતી. મોટી નામાંકિત કંપનીઓને પણ સીએસઆર અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જણાવ્યું હતું. જેના પગલે એસવીપી હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ચેપીરોગ હોસ્પિટલ અને કેટલાક કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા.