છોટા ઉદેપુરએક કલાક પહેલા
હોળીએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. આદિવાસીઓ દિવાળી કરતા હોળીના તહેવારને ખૂબ જ ધામધૂમપૂર્વક મનાવે છે. હોળીના પાંચ દિવસ સુધી તેઓ પારંપરિક રીતે નાચગાન કરી મેળાઓમાં જઈને આનંદ પ્રમોદ કરતા જોવા મળે છે. આજરોજ કવાંટ ખાતે છોટા ઉદેપુર જિલ્લાના અને આદિવાસીઓમાં સૌથી મહત્વનો એવો વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાયો હતો. આ મેળામાં “હૈયાથી હૈયું અથડાય” તેટલી ભીડ કવાંટ ગામમાં જોવા મળતી હતી. લાખો આદિવાસીઓ અવનવી વેશભૂષામાં સજ્જ થઈને આનંદ કરતા જોવા મળ્યા હતા.

ઘેરના મેળાનું વિશેષ મહત્વ
કવાંટ ખાતે ઘેરના મેળાનું આદિવાસીઓમાં વિશેષ મહત્વ હોય છે. આ મેળામાં છોટા ઉદેપુર જિલ્લાનો આદિવાસી સમાજ તેમજ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓ પણ આ મેળામાં ભાગ લેતા હોય છે. તેમાંય ખાસ કરીને આ મેળો ઘેરૈયાઓનો મેળો ભરાય છે. આખા આદિવાસી સમાજના ઘેરૈયા બનેલા લોકો આ મેળામાં આવીને નાચગાન કરે છે અને ઘેર ઉઘરાવીને માનતા પૂરી કરે છે. સાથે સાથે આદિવાસી સમાજના લોકો પણ આ મેળામાં ખુબ જ ઉત્સાહ ઉમંગ સાથે પારંપરિક વેશભૂષામાં મેળામાં ભાગ લે છે.

આદિવાસીઓ પારંપરિક વેશભૂષામાં આવે છે
ઘેરના મેળામાં આદિવાસીઓ પારંપરિક વેશભૂષામાં આવે છે, પુરુષો એક સરખા શર્ટ અને ટૂંકી ધોતી પહેરીને આવે છે અને માથે લાલ પાઘડી બાંધીને આવે છે. જ્યારે મહિલાઓ પણ ફ્લદરેક ગ્રુપ એક જ પોશાકમાં આવે છે અને મહિલાઓ મોટે ભાગે ચાંદીના ઘરેણાં પહેરીને આવે છે.

ઘેરૈયા બનતા લોકો શું નિયમો પાળે છે?
આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે. જેઓ પરિવાર, ગામ અને સમાજની રક્ષા માટે માનતા રાખતા હોય છે અને પોતાની માનતા મુજબ હોળીના સમયે એકમથી લઇને પાંચમ સુધી તેઓ ઘરથી દૂર રહે છે અને માનેલી માનતા મુજબનો વેશ ધારણ કરે છે. જેમાં પુરુષ મહિલાના વસ્ત્રો પહેરવા, શરીર ઉપર મેસ લગાડીને બાવા જેવો વેશ ધારણ કરવો જેવા શણગાર કરીને ગામના ચોરે અને બાજુના ગામમાં જઈને ઘેર માંગે છે. ઘેરમાં જે ધાન અને ટકો (રૂપિયા) મળે તે લઇને જાય છે અને આ પાંચ દિવસ દરમિયાન તળેલું અને વઘારેલો ખોરાક ખાતા નથી. જમીન પર જ સુવે છે અને આ પાંચ દિવસ સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે અને પાંચમના દિવસે નદીમાં જઈને વિધિ પૂરી કરીને ત્યાં જ પોતાનો વેશ ઉતારીને ઘરે જાય છે.

આદિવાસી વાજિંત્રો સાથે નાચગાન
ઘેરના મેળામાં આદિવાસીઓ પારંપરિક એવા વાજિંત્રો સાથે નાચગાન કરે છે. તેમાં ખૂબ મોટું ઢોલ જેને આદિવાસી રામઢોલથી ઓળખે છે તે ઢોલના તાલે નાચી છે. સાથે સાથે પિહવો એટલે વાંસળી પણ વગાડતા આદિવાસીઓ નજરે પડે છે. આ ઉપરાંત કમરના ભાગે મોટા ઘૂઘરા બાંધીને કમર હલાવીને નાચગાન કરતા અનોખું મનમોહક સંગીતના તાલે નાચગાન કરતા આદિવાસીઓ મન મોહી લે છે.

વિદેશી પર્યટકો પણ ઘેરનો મેળો જોવા આવે છે
વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળામાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો આદિવાસી સંસ્કૃતિ જોવા આવતા હોય છે. આજના ઘેરના મેળા પણ નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ જેવા દેશોમાંથી વિદેશી પર્યટકો આવીને આદિવાસી સંસ્કૃતિ જોઈને અભિભૂત થયા હતા.







