પાટણએક કલાક પહેલા
- કૉપી લિંક

ભારત તિબેટ સહયોગ મંચ, ગુજરાત પ્રાંત દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે તિબેટ જન ક્રાંતિ દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટાર અને સ્વદેશી જાગરણ મંચના મહેસાણા વિભાગ સંયોજક ડો. કમલભાઈ મોઢ દ્વારા આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃષ્ટિમાં ભારત આજે નવી ઉડાન ભરી રહ્યું છે ત્યારે વિદેશી સામાનનો બહિષ્કાર કરવો જ રહ્યો તે સમજાવ્યું હતું.

આજના પ્રસંગના મુખ્ય વક્તા અને ભારત તિબેટ સહયોગ મંચના પશ્ચિમ ક્ષેત્રના સહસંયોજક ગજેન્દ્રકુમાર જોશી એ 10 માર્ચ 1959 ના રોજ ચીને તિબેટ પર આચરેલા અત્યાચારને તાદૃશ્ય કરાવી ધૃત ચીનની નીતિઓને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે ચીન તિબેટ ક્ષેત્રમાં માનવ અધિકાર ભંગ કરી તિબેટના લોકો પર જે જે દમન આચરે છે તે બાબત વિગતે સમજાવી હતી. તેમણે ઉપસ્થિત સૌ કોઈને ભારત તિબેટ સહયોગ મંચના ઉદ્દેશ્યોને સમજાવ્યા હતા.

તિબેટની આઝાદી ભારતની સુરક્ષા માટે જરૂરી છે તે વિસ્તૃત રીતે સમજાવીને ચીની સામાનના બહિષ્કાર પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મંચના ગુજરાત પ્રાંત મીડિયા કન્વીનર ભરતભાઈ ચૌધરીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય વિચારની પ્રેરણા આપતાં પુસ્તકો ભેટ સ્વરૂપે આપી આત્મનિર્ભર બનવા માટે અને સ્વરોજગાર હેતુ ભારતીય ચીજો ખરીદવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પત્રકારત્વ વિભાગના વડા ડો. આનંદ પટેલ, પ્રાધ્યાપક ચિરાગભાઈ પટેલ મંચના કાર્યકર વિજયભાઈ સાલવી, ખેંગારભાઈ યોગી અને પ્રવીણભાઈ ઠક્કર સાથે મોટી સંખ્યામાં યુવા કાર્યકર ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્લે કાર્ડ દ્વારા આજના વિષયને વાચા આપી હતી.
