પોરબંદર15 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્ય સહિત દેશભરમાં હાલ પાનકાર્ડ સાથે આધારા કાર્ડ લિંક કરવાને લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે. રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા માટે સાત વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું અને છ વર્ષ સુધી કોઈ પણ જાતનો દંડ હતો નહિ. આ છ વર્ષના સમયગાળા દરમિયાન લિંક કરાવવામાં બાકી રહી ગયેલા લોકો માટે તા. 1/4/2022થી 1000 દંડ રાખવામાં આવ્યો. હવે લોકો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક કરાવવા માટે જાગૃત થયા છે, ત્યારે કેટલીક સમસ્યાઓ સર્જાઈ છે.
- પોરબંદર જિલ્લામાં આઘાર કેન્દ્રો ઓછા પ્રમાણમાં હોવાથી અને લોકોનો ઘસારો વધુ હોવાથી આધાર કેન્દ્રો પર લોકોની ખુબ ભીડ એકઠી થાય છે, માટે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાથી વધુ આધાર કેન્દ્રો ખોલવા જોઈએ.
- આધારકાર્ડમાં નામ અને જન્મ તારીખ સુધારવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ માન્ય રાખતા નથી, ગ્રામપંચાયત અથવા નગરપાલિકાનો જન્મનો દાખલો માન્ય ગણતા હોય જે લોકો પાસે આ દાખલો ન હોય તેમના માટે મુશ્કેલીઓ સર્જાય છે અને અમુક ગામડાઓમાં તો 1972 પહેલાનો રેકોર્ડ ન હોવાથી જન્મ તારીખનો દાખલો નીકળી શકતો ન હોય એ લોકો માટે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવું અશકય બને છે, માટે આ સમસ્યાઓનો પણ વ્યવહારૂ ઉકેલ લાવવો ખુબ જ જરૂરી છે.
- સ્કુલ લીવીંગ સર્ટીફીકેટમાં વ્યક્તિના નામની પાછળ ભાઈ/બહેન/લાલ/કુમાર જેવા માનવાચક શબ્દો લગાડેલ હોય છે, પરંતુ આધારકાર્ડમાં આ શબ્દો ના હોવાને કારણે અને જન્મનો દાખલો ન હોવાને કારણે આવા નામોમાં સુધારા થતા નથી. જેના કારણે પણ પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક થઈ શકતું નથી.
- આમ તો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે. છતાં પણ લોકોમાં આવેલી જાગૃતતાના કારણે હજુ એક વર્ષ જેટલો સમય વધારી દેવા માટે અમારી ખાસ ભલામણ છે, જેથી કરીને લોકો મામુલી ચાર્જમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવી શકે.
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ ઉપરોક્ત સમસ્યાઓ ધ્યાને લઈ તેના માટે ઘટતું કરવા વડાપ્રધાનને ખાસ રજૂઆત કરી છે અને આ અંગે તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે વિનંતી કરવામાં આવી છે.