સુરેન્દ્રનગર41 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ ગુજરાતના ગૌરવસમા ઇતિહાસની ઝાંખી નજર સમક્ષ તરી આવે છે. રાજ્ય સરકારે મેઘાણી સ્મૃતિ સ્થાનો વિકસાવવા મોટું બજેટ ફાળવ્યું છે. પરંતુ કદાચ બોવ ઓછા લોકોને ખબર હશે કે,ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રણકાંઠાના ઝીંઝુવાડામાં લીધું હતું. થોડા સમય અગાઉ આ ઐતિહાસીક શાળાને અદ્યતન બનાવવામાં આવી હતી. પરંતુ આ શાળાને ઐતિહાસીક દરજ્જો આપી એને વિકસાવવામાં આવે એવી સમયની માંગ છે.

ચોટીલા ગામમાં 1896માં મેઘાણીનો જન્મ થયો
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નામ સાંભળતાની સાથે જ “એ મારી જનનીના હૈયામાં, પોઢંતા પોઢંતા, એ અમે પીધો કસુંબીનો રંગ; હો રાજ મને લાગ્યો, કસુંબીનો રંગ” હૈયામાં અને હોંઠ પર આવી ચઢે. ઝાલાવાડના ચોટીલા ગામમાં 28 ઓગષ્ઠ 1896માં જન્મેલા ઝવેરચંદ મેઘાણી 9 માર્ચ 1947માં બોટાદ ખાતે 51 વર્ષે દેહનો ત્યાગ કર્યો હતો. સરકારે થોડો સમય અગાઉ મહાન રાજ્ય પ્રતિભાઓએ જે જે શાળામાં પ્રાથમિક શિક્ષણ સહિતનો અભ્યાસ કર્યો હોય એ તમામ શાળાને રાષ્ટ્રીય શાળા એટલે કે ઐતિહાસીક શાળા ઘોષિત કરી એની યોગ્ય જાળવણી કરવાનો વિચાર અમલમાં મુક્યો હતો.

ઐતિહાસીક સસ્મરણોને વિકસાવવા રૂ. 2 કરોડનું બજેટ ફાળવ્યું
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થાન અને એમના અમર સર્જન સાથે સંકળાયેલા વિવિધ સ્થાનોને વિકસાવી લિટરેચર ટુરીઝમ શરૂ કરવાનો અભિનવ પ્રયોગ થઇ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટિયા જેવા યાદગાર સર્જનોના સાક્ષીરૂપ સ્થાનોને નવું કલેરવ મળશે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કે ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમીત્તે એમના જન્મસ્થાન, કર્મભૂમિ સહિતના ઐતિહાસીક સસ્મરણોને વિકસાવવા રૂ. 2 કરોડનું બજેટ ફાળવ્યું છે. ત્યારે પાટડી તાલુકા કે ઝાલાવાડના તો શું પરંતુ ગુજરાતના એક પણ વ્યક્તિને કદાચ ખબર નહીં હોય કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામેં આવેલી કુમાર શાળામાં શિક્ષણ લીધુ હતું.

મેઘાણીના પિતા ઝીંઝુવાડા પોલીસ મથકમાં જમાદાર હતા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ મેઘાણી અહીંના ઝીંઝુવાડા પોલીસ મથકમાં જમાદાર હતા. ઝવેરચંદે પ્રાથમિક શિક્ષણ રાજકોટ સહિત ભાવનગર જિલ્લાના લાખાપાદર સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા અને વઢવાણ ગામે લીધુ હતું. માહિતી ખાતા દ્વારા બહાર પડાયેલા પુસ્તક “શબ્દોના સૌદાગર” પુસ્તકમાં મેઘાણીના ઘડતર સાથે સંકળાયેલા સ્થળોના શિર્ષક હેઠળ નકશા સાથે વર્ણવેલુ છે, જે કદાચ ગુજરાતના જૂજ જ ઇતિહાસ પ્રેમી લોકોને ખબર હશે.

આ શાળા વિકસાવવા એનજીઓ આગળ આવી, સરકારની ઘોર ઉપેક્ષા
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ઝીંઝુવાડાની જે કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું એ ઐતિહાસીક શાળા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એનજીઓએ આ ઐતિહાસીક શાળામાં 10 નવા રૂમો બનાવી વિકાસ કર્યો હતો. પરંતુ સરકાર દ્વારા આ શાળાને ઐતિહાસીક શાળાને રાષ્ટ્રીય દરજ્જો આપવાના બદલે એની ઘોર અવદશા જોઇને ઇતિહાસ પ્રેમી લોકોનું દિલ આજે પણ દ્રવી ઉઠે છે.

ઐતિહાસીક ઝીંઝુવાડા ગામ આજેય વિકાસ ઝંખે છે
રણકાંઠાના ઝીંઝુવાડા ગામની મુલાકાત લો તો ગામના ચારેય દિશામાં હવા સાથે વાતો કરતા ચાર જાજરમાન દરવાજાઓ સહિતનો ઐતિહાસીક કિલ્લો ભૂંકપની કારમી થપાટ સામેં અત્યંત જર્જરીત બનતા પુરાતત્વ વિભાગ દ્બારા આ ઐતિહાસીક ઝીંઝુવાડા ગામની ધરોહરને જીવંત રાખવાના પ્રયાસો હાથ ધરાય એવી વ્યાપક માંગ ઉઠી છે.

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીનો પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો
ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળે ઝવેરચંદ મેઘાણીની પુર્ણતિથી નીમીત્તે મેઘાણીજીની મુર્તિ ઉપર પુષ્પ અર્પણ કરીને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચોટીલા પાલિકા પ્રમુખ જયદિપભાઈ ખાચર, ચોટીલા પીઆઇ, મોલડી પીએસઆઇ તેમજ અન્ય સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિતીમાં રાષ્ટ્રિય શાયર ઝવેચંદ મેઘાણીજીના જન્મસ્થળ ચોટીલા ખાતે તેઓની પૂર્ણ્યતીથી નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો.