બોટાદ3 કલાક પહેલા
- કૉપી લિંક

દિવ્યાંગ વ્યક્તિને દયાની નહી પરંતુ પ્રેમ અને હૂંફની જરૂર છે. તે પણ સામાન્ય માનવીની જેમ સમાજમાં સરળ અને સહજ રીતે જીવન જીવવાનો હક્ક ધરાવે છે. ત્યારે બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ આશાબેન ચૌહાણને સરકાર દ્વારા અપાતી સાધન સહાય મેળવવા માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. સમાજ સુરક્ષા વિભાગના કર્મીઓએ જાણે આશાબેનના પરિવારજન હોય તે રીતે તેમની મદદ કરી હતી. ત્યારે આજે સાધન સહાય માટેની ઓનલાઇન અરજી બાદ આશાબેન ચૌહાણને સિલાઇ મશીન મળતા હવે તેઓ આત્મનિર્ભર બન્યાં છે.
ઘરઆંગણે જ સ્વરોજગારી મળતા આશાબેન હવે પોતાના પરિવારની સાથે કદમથી કદમ મીલાવી કમાણી કરી શકવા સક્ષમ બન્યા છે. આશાબેન ચૌહાણ જન્મથી જ બહેરા-મુંગા છે. જ્યારે તેમના પતિ ડાબા પગે દિવ્યાંગ છે. તેમને એક 9 વર્ષનો પુત્ર છે જે શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. આશાબેન ભલે દિવ્યાંગ હોય પરંતુ પોતાના પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે તેમણે ક્યારેય પાછી પાની કરી નથી. તેમનો પુત્ર ઉચ્ચ શિક્ષણ લઇ સારી નોકરી મેળવે તે માટે તેઓ અને તેમના પતિ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

આશાબેન અને તેમના પતિ ભરતભાઇને સરકાર તરફથી સમાજસુરક્ષા વિભાગ દ્વારા એસ.ટી.બસપાસ પણ કાઢી આપવામાં આવ્યો હોવાથી બંન્ને વિનામૂલ્યે મુસાફરી કરી શકે છે. જે માટે તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યુ હતુ કે, દિવ્યાંગજનોની દરકાર માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેક કલ્યાણલક્ષી યોજના આજે અમારા જેવા દિવ્યાંગો માટે આશિર્વાદરૂપ બની રહી છે. અમે પણ સ્વનિર્ભર બની પોતાનું જીવન સન્માનપૂર્વક જીવી શકીયે તે માટે આજે અનેક યોજનાઓ કાર્યરત છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં અનેક જનકલ્યાણકારી યોજનાના લાભો છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. આજે અનેક દિવ્યાંગો સ્વરોજગારી મેળવવાની સાથે આત્મનિર્ભર બન્યાં છે. તેનુ ઉત્તમ દ્રષ્ટાંત એટલે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામના વતની દિવ્યાંગ આશાબેન ચૌહાણ.