નર્મદા (રાજપીપળા)10 મિનિટ પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા અને સાગબારાનાં અધિકારીઓ અને એજન્સી દ્વારા બારોબાર થતાં આયોજન બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
ચૈતર વસાવાએ કરેલી રજૂઆતમાં નર્મદા જિલ્લો એ અતિ પછાત જિલ્લો છે. અહીં લોકોના સુખાકારી માટે ગુજરાત સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે. સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ પણ કરવામાં આવતો નથી.
હાલમાં નર્મદા જિલ્લામાં વિકાસશીલ તાલુકા જોગવાઈ-દેડીયાપાડાના 51 લાખ 89 હજાર અને સાગબારાના 81 લાખ 80 હજારનું આયોજન જિલ્લા આયોજન અધિકારીએ સ્થાનિક સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કે તાલુકા પંચાયત પ્રમુખને ચર્ચા વિમર્થ કે વિશ્વાસમાં લીધા વગર બારોબાર બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરી દીધું છે. જેને રદ કરી ખેડૂતોને જરૂરી ખેત બોરવેલની મંજૂરી આપવામાં આવે.
આ અધિકારી અને એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, એવી સીએમને રજૂઆત કરી છે. સાથે સાથે જો સત્વરે યોગ્ય જવાબ ન મળે તો મારે તા. 23/03/2023 ગુરુવારના રોજ કલેક્ટર નર્મદાના ચેમ્બરની સામે ધરણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પણ રજૂઆતમાં ઉચ્ચારી છે.
