આણંદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

તારાપુરના ટોલ ગામ પાસે ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતી કારે આગળ જતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતાં ટ્રેક્ટર ટ્રોલી સાથે જ પલટી ગયું હતું. જેના કારણે તેમાં સવાર આધેડનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
તારાપુરના પચેગામમાં રહેતા હરિકૃષ્ણ કનુભાઈ પટેલના કાકા અરૂણભાઈ વલ્લભભાઈ પટેલ (ઉ.વ.56) ખેતી કામ કરે છે. દરમિયાનમાં 9મી માર્ચના રોજ સાંજના સાડા ત્રણેક વાગે અરૂણભાઈનો પુત્ર પાર્થ તથા તેનો મિત્ર રણછોડ વેલાભાઈ મકવાણા ટ્રેક્ટર – ટ્રોલી લઇને પતરા લેવા તારાપુર જવા નિકળ્યાં હતાં. તેમની સાથે અરૂણભાઈ કાર લઇને નિકળ્યાં હતાં. જોકે, રાત્રિના સુમારે ટ્રેક્ટરને ટોલ ગામ પાસે અકસ્માત થયો હોવાનું જાણવા મળતાં હરિકૃષ્ણભાઈ સ્થળ પર પહોંચ્યાં હતાં. આસપાસમાં તપાસ કરતાં કાર નં.જીજે 38 બીબી 5531ના ચાલકે પુરઝડપે કાર ચલાવી ટ્રેક્ટરને ટક્કર મારી હતી. જેમાં ટ્રેક્ટર, ટ્રોલી સાથે પલટી ગયું હતું. જેમાં અરૂણભાઈ ટ્રેક્ટર નીચે દબાઇ ગયાં હતાં. જેમને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. જ્યારે પાર્થ, રણછોડભાઈની સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગે પાર્થને પુછતા તેણે જણાવ્યું હતું કે, હું તથા રણછોડભાઈ ટ્રેક્ટર તથા ટ્રોલી લઇ પચેગામથી નિકળેલા અને ઇંદ્રણજ આવતા અરૂણભાઈ ગાડી લઇને આવેલા હતા. તેઓએ તેમની ગાડી ઇન્દ્રણજ ગામે રોડની સાઇડમાં મુકી દીધી હતી અને ટ્રેક્ટર ચલાવી લઇ તારાપુર આવવા નિકળ્યાં હતાં. તારાપુરથી પરત પચેગામ આવતા હતા, તે વખતે ટોલ ગામ પસાર કરતા હતા ત્યારે તારાપુર તરફથી પુરઝડપે આવતી કારે ટ્રોલીને ટક્કર મારતાં તે ડિવાઇડર પર ઉધુ પડી ગયું હતું. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.