ગાંધીનગરએક કલાક પહેલા
રાજ્યના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ સુધી ‘કાઠિયાવાડી કોયલ’ના કોડવર્ડ થકી બનાસ નદી અને કંબોઈમાંથી ગેરકાયદેસર રેત ખનન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજદારના આક્ષેપ બાદ પાંચ મહિનાથી આ મામલાની તપાસ ચાલી રહી હતી. જેના અંતે એક રોયલ્ટી ઈન્સપેક્ટરની ગાંધીનગરથી સુરેન્દ્રનગર બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ અરજદાર દ્વારા જો આ મામલે યોગ્ય તપાસ થાય તો ચોંકાવનારા ખુલાસા થવાની વાત કરી છે.

યોમેશ ગજ્જર
પાંચ મહિના પહેલા રેતીના વેપારી યોમેશ ગજ્જર દ્વારા બનાસ નદી અને કંબોઈમાંથી રેતી ચોરીનું નેટવર્ક ગાંધીનગરથી ઓપરેટ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ‘કાઠિયાવાડી કોયલ’ના કોડવર્ડથી આ કૌભાંડ ચાલતુ હોવાનો આક્ષેપ કરી ખાણખનીજ વિભાગનાકરાર આધારિત રોયલ્ટી ઈન્સપેક્ટર કૌશલ પંડ્યા અને ડ્રાઈવર જયેશ ત્રિવેદી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે અન્વયે યોમેશ ગજ્જર દ્વારા અત્યાર સુધીમાં આઠેક વખત રજુઆતો કરવામાં આવી છે. જે રજૂઆતની તપાસના કામે વિભાગ દ્વારા બે વખત યોમેશ ગજ્જર પાસેથી જરૂરી પુરાવા પણ મેળવવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વખત તપાસના કામે ખાણ ખનિજ વિભાગ દ્વારા ફરી પાછા પુરાવા માંગવામાં આવ્યા છે.

રોયલ્ટી ઈન્સપેક્ટર કૌશલ પંડ્યા
આ અંગે યોમેશ ગજ્જરે જણાવ્યું હતું કે, ‘કાઠિયાવાડી કોયલ’ના નામે રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે તે અંગે મેં આઠેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. મારી પાસે પુરાવા માગ્યા તો મેં પુરાવાઓ રજૂ કર્યા તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. રોયલ્ટી ઈન્સપેક્ટરને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

આ સમગ્ર મામલે ભૂસ્તર શાસ્ત્રી અલખ પ્રેમલાણીને પાંચ મહિનામાં તપાસમાં શું તથ્ય બહાર આવ્યું એ જાણવા દિવ્ય ભાસ્કર દ્વારા તેમના બંને નંબરો પર સંપર્ક કરવામાં આવ્યો હતો.પંરતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કાઠિયાવાડી કોયલ નેટવર્ક અંગે સંબંધિત અધિકારીઓનો ટેલીફોનીક સંપર્ક કરાયો હતો. તે વખતે પણ તપાસ ચાલુ હોવાની વાત કરવામાં આવી હતી.