વલસાડ12 મિનિટ પહેલા
વલસાડની અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસ હાથ ધરી છે. મધ્યાહન ભોજનમાં ધનેડાં અને માખી મળી આવી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ તંત્ર દ્વારા મામલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા
વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં ધનેડાં અને માખી હોવાની તસવીરો અને વીડિયો વાઈરલ થયો હતો. અહીં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શાળામાં જ ભોજન બનાવી બાળકોને પીરસવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.

તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
અબ્રામા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં જીવાત હોવાની માહિતી મળતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર મામલાની તાપસ માટે મામલતાદરને શાળા પર મોકલ્યા હતા. મામલતદાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

અમે મધ્યાહન ભોજનના સંચાલકને સૂચના આપી હતી
અબ્રામા પ્રાથમિક શાળાના આચાર્ય નિયંતાબેન પટેલે કહ્યું હતું કે, ભોજનમાં જીવાત હોવાની જાણ થતા અને મધ્યાહન ભોજનના સંચાલકને સૂચના આપી હતી. આ મામલે અમે મામલતદારને પણ જાણ કરી હતી.આ મામલે વાલીઓ દ્વારા પણ કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.