સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
યજ્ઞનો પવિત્ર અને આરોગ્યપ્રદ ધુમાડો શ્વાસમાં જાય, તો ગર્ભસ્થ બાળકને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે
ગર્ભસ્થ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વેદોક્ત ગર્ભ સંસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ગર્ભ સંસ્કાર ટ્રેઈનર જીતેન્દ્ર ટીંબડિયાએ જણાવ્યું કે, ‘રાજા દશરથે સંતાન પ્રાપ્તિ માટે સંયમ પાળી અશ્વમેધ અને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યા હતા અને ભગવાન રામચંદ્ર પધાર્યા હતા. રાજા દિલીપ અને રાણી સુદક્ષિણાએ મહર્ષિ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગાયનું દૂધ પીને, યજ્ઞમય જીવન કરીને ઉગ્ર તપ કર્યું હતું. આથી તેમને બુદ્ધિમાન અને પરાક્રમી પુત્ર ‘રઘુ’ જન્મ્યા હતા.
108 પ્રકારની સામગ્રીઓથી યજ્ઞ
બૃહદારણ્યક ઉપનિષદ કહે છે : ‘સ્ત્રી એ અગ્નિ (યજ્ઞવેદી) છે અને પુરુષ તેમાં વીર્યની આહુતિ હોમે છે.’યોગ ટ્રેઈનર અને ડાયેટિશિયન સુયોગી ટીંબડિયાએ જણાવ્યું કે, ‘ગર્ભ સંસ્કાર યજ્ઞના હોમમાં 108 પ્રકારની આયુર્વેદિક સામગ્રીઓ હોય છે. જે યાત્રાધામ હરિદ્વારમાં વિશિષ્ટ રીતે ઉગાડવામાં અને ઉછેરવામાં આવે છે. જેનો પવિત્ર અને આરોગ્યપ્રદ ધુમાડો શ્વાસમાં જાય, તો ગર્ભસ્થ બાળકને રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે.’
આનંદ સાથે એક્ટિવિટી
ડ્રીમ ચાઈડ ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત અને ગાયત્રી પરિવારના યજ્ઞ-પ્રવર્તક નૈના બેન દેસાઈ દ્વારા સંચાલિત આ યજ્ઞમાં 50 દંપતીઓએ ગર્ભસ્થ બાળક માટે તંદુરસ્તીના અને યજ્ઞદેવના આશીર્વાદ મેળવ્યા હતા. યજ્ઞના વ્યવસ્થા સંચાલક ધવલ છેટાએ જણાવ્યું કે ‘યજ્ઞ એ આપણી વૈદિક સંસ્કૃતિ છે. ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવતાં દરેક બહેનો વૈદિક સંસ્કાર પામે તે અતિ જરૂરી છે. અને સૌ બહેનો આ યજ્ઞમાં બેસી પ્રેગ્નન્સી અંગે એટલો આનંદ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત કરે છે કે જે તેઓને બીજી અનેક એક્ટિવિટી દ્વારા પણ મળી શકતો નથી.’