અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં મેલેરિયા રોગની લોકજાગૃતિ અને તેને નિયંત્રણમાં લાવવા માટે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મેલેરિયાના રોગને અટકાવવા માટે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવતા હોય છે. જેના કારણે છેલ્લા 10 વર્ષમાં મેલેરિયાના રોગનું પ્રમાણ અમદાવાદ શહેરમાં ઘટ્યું હોવાનો દાવો મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મચ્છરોની જે ગીચતા એટલે કે મચ્છરોનું પ્રમાણ ઘટ્યું છે.
ઝેરી અને સાદા મેલેરિયાના કેસોમાં ઘટાડો
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 10 વર્ષમાં મચ્છરોની ગીચતાનું પ્રમાણ ઘટયું છે. જેના કારણે મેલેરિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ઝેરી મેલેરિયા અને સાદો મેલેરિયા એમ બંને પ્રકારના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરના લોકોમાં આવેલી જનજાગૃતિના કારણે મચ્છરની ઘનતામાં ક્રમશઃ સતત ધટાડો જોવા મળ્યો છે. વર્ષ 2012માં એડલ્ટ મોસ્કીટો ડેન્સીટી એરવેજ 4.45 જેટલો હતો તે ઘટીને વર્ષ 2022 સુધીમાં એવરેજ 1.52 જેટલો જોવા મળ્યો છે.
વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
વર્ષ 2023માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરીયા દિવસનું થીમ “Time to Deliver zero malaria: Invest, Innovate, Implement” છે. મેલેરીયા વિભાગ દ્વારા આવતીકાલે મંગળવારના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે. લોકજાગૃતીનો બહોળો ફેલાવો થાય તે હેતુથી AMCના તમામ ઝોન અને તમામ વોર્ડના નોન સ્લમ તથા સ્લમ વિસ્તારમાં મેલેરીયા વિભાગના એમ.પી.એચ.ડબલ્યુ.દ્વારા લાર્વાનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરી ગૃપમાં લોકોને મચ્છરજન્ય રોગચાળા તથા મચ્છરના જીવનચક્ર અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવશે. તથા આરોગ્ય શૈક્ષણિક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે.
વાહક જન્ય રોગો અંગેના સંદેશાઓ પહોચાડવાનું આયોજન
તમામ ઝોનના જુદા જુદા વોર્ડમાં બે દિવસ સુધી પ્રચાર રીક્ષાના માધ્યમ દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા દ્વારા જન સમુદાયમાં વિશ્વ મેલેરીયા દિવસ નિમીત્તે વાહક જન્ય રોગો અંગેના સંદેશાઓ પહોચાડવાનું આયોજન કરવામાં આવશે.
આરોગ્ય ભવન ખાતે લેબોરેટરી અપગ્રેડ કરાઈ
તાજેતરમાં આરોગ્ય ભવન ખાતે મેલેરીયા વિભાગમાં સેન્ટ્રલી એન્ટોમોલોજીકલ લેબોરેટરી / ઈન્સેકટ્રી અપગ્રેડ કરવામાં આવી છે. લેબમાં મચ્છરની ઘનતા / ઈન્સેકટી સાઈટની અસરકારકતા તથા સીરો સેમ્પલીંગ કરી વાઇરસ આઇસોલેશન માટે માઇક્રો લેબોરેટરીમાં મોકલવા સાથેની અન્ય એન્ટોમોલોજીકલ કામગીરી અને અવલોકન કરવામાં આવી રહ્યું છે.
મેલેરીયાના નિદાન માટે માઈક્રોસ્કોપી સ્ટાન્ડર્ડ ગોલ્ડ મેથડ
મેલેરીયા નાબુદી અંતર્ગત મેલેરીયાના નિદાન માટે માઈક્રોસ્કોપી સ્ટાન્ડર્ડ ગોલ્ડ મેથડ છે. જે અન્વયે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ AMC દ્વારા ઝડપી નિદાન માટે રેપીડ ડાયગ્નોસ્ટીક કીટ મારફતે ત્વરીત નિદાન કરી તાત્કાલીક રેડીકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. રેડીકલ ટ્રીટમેન્ટમાં સતત 14 દિવસ માટે એન્ટી મેલેરીયલ ડ્રગ્સ તરીકે પ્રાઇમાક્વીન આપવામાં આવી રહ્યું છે.