- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- The Deputy Mayor Said The Facility Was Withdrawn When 10 Percent Of The Opposition Members Were Not Members, The Opposition Said The Facility Was Taken Away Because We Questioned Corruption.
જુનાગઢ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત વિધાનસભામાં કુલ બેઠકની 10 ટકા બેઠકો કૉંગ્રેસને ન મળતા કૉંગ્રેસને વિધાનસભામાં વિરોધપક્ષનું પદ અપાયું નથી. એ રીતે જ હવે જૂનાગઢ મહાનગરપાલિકા પણ વિપક્ષ પાસે 10 ટકા બેઠકો ન હોય તેને મળતી સુવિધા પરત લઈ લેવાનો નિર્ણય કરાયો છે. આ બાબતને લઈ હોબાળો મચ્યો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, અમે ભ્રષ્ટાચારને લઈ સવાલો ઉઠાવી રહ્યા છીએ એટલે અમારી સુવિધા છીનવી લેવામાં આવી છે.

અદ્રેમાન પંજા
શું કહી રહ્યા છે વિપક્ષી સભ્યો?
જૂનાગઢ મનપામાં વિપક્ષી સભ્યોને મળતી સુવિધાઓ આજે પરત લઈ લેવામાં આવતા વિપક્ષી સભ્યોમાં રોષ ફેલાયો છે. વિપક્ષી સભ્ય અદ્રેમાન પંજાએ કહ્યું હતું કે, તળાવમાં બે કરોડ રૂપિયા માટી નાખી છે તેને લઈ સવાલ ઉઠાવતા અમારી સુવિધા છીનવી લેવામાં આવી છે.

ગિરીશ કોટેચા, ડેપ્યુટી મેયર
શું કહી રહ્યા છે ડેપ્યુટી મેયર?
જૂનાગઢ મનપાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું હતું કે, વિધાનસભામાં ભાજપને 156 સીટ આવી હતી અને કૉંગ્રેસને 17 સીટ આવી હતી. નિયમ પ્રમાણે 10 ટકા સીટ ન થતી હોય ત્યાં પણ વિપક્ષને સુવિધા આપવામાં આવી નથી. એ રીતે આજે જૂનાગઢ મનપામાં જનરલ બોર્ડ બોલાવી વિપક્ષના 10 ટકા સભ્ય થતા ન હોય ઠરાવ રદ કરી વિપક્ષને જે સુવિધા અપાતી હતી તે રદ કરવામાં આવી છે.

2019માં સુવિધા આપી, 2023માં સુવિધા પરત લીધી
જૂનાગઢ મહાનગરપાલિકાની 2019માં ચૂંટણી યોજાય હતી. જેમાં 60માંથી 54 બેઠક પર ભાજપની જીત થઈ હતી. જ્યારે 3 બેઠક કૉંગ્રેસના અને 3 બેઠક એનસીપીના ફાળે ગઈ હતી. 2019માં નવી બોડીની રચના થઈ ત્યારે વિપક્ષને મળતી સુવિધાઓ આપવામાં આવી જ હતી. પરંતુ, ચાર વર્ષ બાદ તે પરત લઈ લેવાતા વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

શું કહી રહ્યા છે સેક્રેટરી?
જૂનાગઢ મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્પેશ ટોલિયાએ જણાવ્યું હતું કે, જીપીએમસી એક્ટ મુજબ કલમ નંબર (19)( 20)માં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના હોદ્દાઓને માન્યતા આપવામાં આવી છે. જે તે સમયે ચૂંટણી થયા બાદ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજૂરી આપ્યા બાદ વિરોધ પક્ષને મનપામાં સ્થાન આપવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીના જનરલ બોર્ડમાં ઠરાવ કર્યા બાદ હોદેદારોને સુવિધાઓ અને સગવડો આપી શકાય છે. હાલમાં જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઠરાવ મૂકવામાં આવ્યો હતો અને તેને બહુમતીથી પાસ કરવામાં આવ્યો છે. જેના કારણે વિરોધ પક્ષમાં બેસતા ત્રણ કોંગ્રેસના અને ત્રણ એનસીપીના કોર્પોરેટરની ટેલીફોન, ગાડી, સ્ટાફ અને ઓફિસની સુવિધાઓ પરત લેવામાં આવી છે.

વિપક્ષી સભ્યોએ કમિશનર કચેરી બહાર ધરણા શરૂ કર્યા
જૂનાગઢ મનપામાં વિપક્ષી સભ્યો પાસેથી સુવિધા પરત લઈ લેવામાં આવતા વિપક્ષી સભ્યો દ્વારા કમિશનર કચેરી બહાર ધરણા શરૂ કરવામાં આવ્યા છે.