સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા
- કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે મંગળવારે હિંમતનગરમાં 04, ઇડર 04, પ્રાંતિજમાં 02 અને ખેડબ્રહ્મામાં 01 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારે પોઝીટીવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.

આ અંગે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે મંગળવારે હિંમતનગરના રૂરલ આરોગ્ય કેન્દ્રમાં 17 વર્ષીય કિશોરી, 09 વર્ષીય કિશોરી, 56 વર્ષીય પુરૂષ, 53 વર્ષીય મહિલા દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત ઇડરમાં 60 વર્ષીય પુરૂષ, 48 વર્ષીય પુરૂષ, 70 વર્ષીય વૃધ્ધ અને 60 વર્ષીય પુરૂષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે પ્રાંતિજમાં 35 વર્ષીય પુરૂષ અને 69 વર્ષીય પુરૂષ દર્દી ઉપરાંત ખેડબ્રહ્મામાં 30 વર્ષીય પુરૂષ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જોકે તમામ દર્દીઓને હોમઆઇસોલેશનમાં સારવાર બાદ તેમના રીપોર્ટ કોરોના નેગેટીવ આવ્યા હતા.
સુરપુરમાં પશુ હેલ્પલાઇન 1962 દ્વારા અશ્વને નવજીવન અપાયું…
ઇડર તાલુકાના સુરપુર ખાતે 6 વર્ષના અશ્વને આખલાનું શિંગડુ પેટમાં ઘૂસી જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેની જાણ પશુ હેલ્પલાઇન 1962ને કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા અશ્વને ઓપરેશન કરી મોતના મુખમાંથી બચાવવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ઇડરના સુરપુર ગામના અતિક મેમણના 6 વર્ષના અશ્વને આખલાનું શિંગડું પેટમાં ઘૂસી જતાં ગંભીર રીતે ઇજા થઈ હતી. પશુ હેલ્પલાઇન 1962 પર ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા 1962ના પશુ ચિકિત્સક ડૉ.એઝાજ મેમણ અને ડૉ.માર્ગી પટેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન અશ્વના આંતરડાનો સંપૂર્ણ ભાગ બહાર આવી ગયો હતો. તેથી તેનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી હતું. જેથી તાત્કાલિક ધોરણે અશ્વનું ઓપરેશન કરી અશ્વને બચાવી લેવામાં આવ્યો હતો. સંપૂર્ણ ઓપરેશન દરમિયાન પાયલોટ કમ ડ્રેસર હર્ષદભાઈ તથા સુરપુર ગામના રહેવાસીઓ ખૂબ સાથ સહકાર આપ્યો હતો. અબોલ જીવ એવા અશ્વને નવ જીવન અર્પવા પ્રોગ્રામ મેનેજર ડૉ. મયંક પટેલ દ્વારા તમામ કર્મચારીઓ પ્રશંસા કરી હતી. તેમજ તમામ સેવા ભાવિ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી…
હિંમતનગર તાલુકાના હડીયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લામાં મેલેરીયા નિયંત્રણમાં અસરકારક કામગીરી કરનાર 35 કર્મચારીઓને પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજ સુતરીયાની અધ્યક્ષતામાં અને તાલુકા પંચાયત પ્રમુખ વિનોદચંદ્ર પટેલની ઉપસ્થિતિમાં હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતુ કે, મેલેરિયા રોગ માદા એનોફીલીસ મચ્છરથી ફેલાતો રોગ છે. આથી પાણીની ટાંકી, ઓવર હેડ, અન્ડર ગ્રાઉંડ ટાંકાને દર અઠવાડીએ સાફ કરવા જોઇએ. ઘરની આજુબાજુ પાણી ભરાયેલા ખાડા ખાબોચીયા તેમજ ફ્રિજ,કુલર,ફુલ દાની અને પક્ષી કુંડામાં રોજ પાણી બદલવુ જોઇએ.

સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021માં મેલેરીયાના 71 કેસ નોંધાયા હતા અને 2022માં 39 કેસો નોંધાયા હતા. હાલની સ્થિતિએ વર્ષ 2023માં એકપણ કેસ નોંધાયો નથી. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરિયા મુકત ગુજરાત થઇ શકે છે. મેલેરીયા દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેલેરિયા રોગ અટકાયતી માટે ગુરુ શિબિર, રેલી અને ચિત્ર સ્પર્ધા દ્વારા લોકોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લામાં મેલેરિયા રોગ અટકાવવા માટે સારી કામગીરી કરેલ 35 અધિકારી અને કર્મચારીઓને પ્રશસ્તી પત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. જેમાં મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેકનીશિયન અને CHOનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ.પ્રવિણ ડામોર, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસરની ટીમ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.