- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Mehsana’s Three Sons Celebrated In The Presence Of Their Parents, Inviting People From All Walks Of Life From 15 Villages Around Modhera.
મહેસાણા14 મિનિટ પહેલા
- કૉપી લિંક

મા-બાપનાં જીવતે જીવ જીવનપર્વની ઊજવણી સાથે માનવસેવાનું કોઈ કાર્ય કરીએ તેમના હૈયે પરમ શાંતિ મળે અને તે આપની સામાજિક જવાબદારી પણ છે. પરલોકની ચિંતા કરવાને બદલે આ-લોકની ચિંતા કરવી જોઈએ તેવું દ્રઢપણે માનતા બહુચરાજી તાલુકાના મોઢેરા ગામના વિનોદભાઈ સ્વામી, પ્રકાશભાઈ પટેલ અને કનૈયાલાલ પટેલ નામના ત્રણ ભાઈઓએ રવિવારે તેમનાં ધર્મપરાયણ માતા સંતોષબેન અને પિતા લાલજીભાઈ રણછોડભાઈ પટેલ (ટુંડાયા)ના જીવનપર્વની ઉમંગભેર ઊજવણી કરી હતી.

આ પ્રસંગે મોઢેરા ઉપરાંત આજુબાજુનાં 15 ગામોનાં તમામ સમાજનાં લોકોને ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું. બહુચરાજી તાલુકાના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો. જ્યાં હિન્દુ, મુસ્લિમ સહિત અઢારેય વર્ણનાં લોકોએ એક જ પંગતમાં જમીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આદિત્ય વિદ્યાલયમાં મા સરસ્વતીના સાનિધ્યમાં, ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચારણ સાથે ત્રણેય ભાઈઓએ સહપરિવાર માતા-પિતાની પૂજા-અર્ચના કરી હતી. બપોરે આજુબાજુનાં 15 ગામોનાં અંદાજે 20 હજારથી વધુ લોકોએ એક જ પંગતમાં ભોજન લીધું હતું. જેમાં ટાકોદી, માત્રાસણ, રણછોડપુરા, પોયડા અને મોઢેરા ગામના મુસ્લિમ પરિવારો પણ જોડાયાં હતાં. પોતાના જીવનપર્વમાં 15 ગામોનાં લોકોને નિમંત્રી ભોજન કરાવવાનો પ્રસંગ જોઈ માતા-પિતાની આંખો પણ દીકરાઓની સેવા જોઇ છલકાઈ ગઈ હતી.

જીવનપર્વની ઊજવણી અંગે પુત્ર વિનોદભાઈ સ્વામીએ જણાવ્યું કે, મા-બાપનાં અવસાન પાછળ બેસણું વગેરે વિધિ કરવી તેના કરતાં તે જીવતાં હોય ત્યારે તેમની ઈચ્છા મુજબ માનવસેવા કરવાથી તેમને વધુ સંતોષ મળતો હોય છે. અમારાં માતા-પિતાએ જીવનમાં અનેક સંઘર્ષ વેઠી અમારો ઉછેર કર્યો છે, તેમની જ પ્રેરણાથી ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ધાણોધરડા નજીક સંતોષ ગૌશાળા અને શનિદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું છે. અહીં પગપાળા યાત્રિકો માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા છે. એક રૂપિયાના ટોકનમાં પાર્ટીપ્લોટમાં લગ્ન વ્યવસ્થા કરી આપીએ છીએ. નિરાધાર, જરૂરમંદ પરિવારની દીકરીઓનાં લગ્ન પ્રસંગે આર્થિક મદદ, વિધવા બહેનોને મદદ તેમજ સામાજિક- ધાર્મિક કાર્યોમાં પણ આ પરિવાર દાન આપતો રહ્યો છે.