વડોદરા34 મિનિટ પહેલા
- કૉપી લિંક

ફાઇલ તસવીર
શહેરના ડભોઇ રોડ સોમાતળાવ પાસે રહેતુ પરિવાર વેકેશન મનાવવા સાસરીમાં ગયા હતા. તે દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી રૂપિયા 2.97 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વાડી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મકાન માલિક ક્લાર્ક છે
મળેલી માહિતી પ્રમાણે શહેરના ડભોઈ રોડ સોમા તળાવ વિસ્તારમાં આવેલ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં કમલેશ વિનુભાઈ સોલંકી પરિવાર સાથે રહે છે. અને વડોદરા જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. કમલેશભાઇ સોલંકી બાળકોને શાળામાં વેકેશન પડતા સુરત ખાતે આવેલ તેમની સાસરીમાં વેકેશન કરવા માટે ગયા હતા. દરમિયાન તસ્કરોએ કલાર્કના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરના બેડરૂમમાં રહેલ તિજોરીનું તાળું તોડી સોના-ચાંદીના લાખોની કિંમતના દાગીના ચોરી તસ્કરો ફરાર થઇ ગયા હતા
તિજોરીનું તાળું તોડી ચોરી
સુરત પરિવાર સાથે ગયેલ કમલેશભાઈને તેમના પાડોશીએ ફોન કરી જાણ કરી હતી કે તમારા મકાનનું તાળું તૂટેલું દેખાઈ રહ્યું છે. અને ચોરી થઇ હોય એવું જણાઈ આવે છે. જેથી કમલેશભાઈ સુરતથી તુરત વડોદરા પરત ફર્યા હતા. અને ઘરમાં તપાસ કરતા બધો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા તિજોરીનું તાળું તૂટેલું હતું અને એમાં મુકેલ 2.97 લાખના દાગીના તસ્કરો ચોરી ફરાર થઇ ગયા હતા.
વાડી પોલીસ મથકમાં ફરિયાદ
ડભોઇ રોડ વૈષ્ણવ પાર્ક સોસાયટી તેમજ આસપાસના વિસ્તારમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે મકાન માલિક કમલેશભાઈ સોલંકીએ અજાણ્યા વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.