હાલોલએક કલાક પહેલા
- કૉપી લિંક
પાવાગઢ ના પાર્કિંગ રંગમંચ ચાંપાનેર ખાતે આઝાદીનું અમૃતમહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી હિંમતનગરની સાગર અકાદમી દ્વારા ‘ચાંપાનેર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ’ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. 50 જેટલા કલાકારો દ્વારા અભિનય, નૃત્ય, ગીત, સંગીતની જમાવટ સાથે પ્રસ્તુત ભક્તિરસના આ મહાઉત્સવમાં હાલોલ ધારાસભ્ય સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે પ્રવાસન કેન્દ્ર બનેલા શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરમાં જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી હિન્દુ નવવર્ષ અને ચૈત્રી નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. નવરાત્રી દરમ્યાન યોજવામાં આવતો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ વર્ષે નવરાત્રી પછી યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી હિંમતનગરની સાગર અકાદમી દ્વારા ‘ચાંપાનેર મહોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ’ની ઉજવણી ચાંપાનેર પાર્કિંગ ખાતે કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અને જિલ્લા પંચાયત પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવમાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રમુખ બંનેની અનુપસ્થિતિમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કાર્યક્રમનું ઉદ્દઘાટન કર્યું હતું. સાગર અકાદમી હિંમતનગરના 50 જેટલા કલાકારોએ અકાદમીના ગૌરવ પુરસ્કૃત નાટ્યકાર ભારત વ્યાસ દ્વારા લેખન, સંકલન અને દિગ્દર્શન કરવામાં આવેલા અભિનય, નૃત્ય, ગીત, સંગીતની જમાવટ કરી ભક્તિરસનો સાગર છલકાવ્યો હતો.

પાવાગઢ તળેટીમાં યોજવામાં આવેલા આ સુંદર અને પારિવારિક જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રચાર પ્રસારના અભાવે તાલુકાની બહોળી પ્રજા તેનો લાભ લઇ શકી ન હતી. પાવાગઢ અને હાલોલ વિસ્તારના અનેક લોકો આ કાર્યકમથી અજાણ હોવાથી આવા સુંદર આયોજનમાં પણ જુજ માત્રામાં દર્શકો જોવા મળ્યા હતા.