પંચમહાલ (ગોધરા)20 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને અવારનવાર રખડતા શ્વાન દ્વારા હુમલો થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કલેક્ટર કચેરીએ પોતાનાં કામ અર્થે આવેલા સાત જેટલાં અરજદારો અને કર્મચારીઓ સહિત બે વર્ષની બાળકી ઉપર રખડતા શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. અને તેને આડેધડ બચકાઓ ભરતા તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રોષે ભરાયેલા લોકટોળાએ બચકા ભરી રહેલાં રખડતા શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો હતો.

જાણવા મળતી વિગત અનુસાર, ગોધરા શહેરની કલેક્ટર કચેરી ખાતે પોતાનાં કામ માટે આવેલા અરજદારો અને કર્મચારી સહિત બે વર્ષની બાળકી પર રખડતા શ્વાને અચાનક હુમલો કર્યો હતો. અને આડેધડ બચકા ભરવા લાગ્યો હતો. બનાવને પગલે આજુબાજના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક સાત જેટલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે રોષે ભરાયેલા લોકોએ રખડતા કૂતરાને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 34 જેટલા લોકોને રખડતા કૂતરાએ બચકા ભર્યા છે. કુતરાઓના આતંકને લઈને ગોધરા નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિંમતભાઈ બારીયાએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરાના કલેક્ટર કચેરી ખાતે ઝેરોક્ષ કઢાવીને આવી રહ્યા હતા. ત્યારે માહિતી અધિકારીની કચેરી ખાતેથી એક રખડતા કૂતરી દોડી આવીને સીધા જ પગમાં બચકા ભરી લીધા હતા. જ્યારે અન્ય લોકોને પગમાં, સાથળમાં બચકા ભર્યા હતા લગભગ સાતથી આઠ લોકોને બચકા ભર્યા હતા.

ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ગોધરાના વનરાજ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરાના કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કુતરા કરડવાથી લગભગ સાત જેટલા દર્દીઓ આવ્યા હતા. જેમાં સાત જેટલા લોકોને કરડવાના કારણે એઆરવી અને વેક્સિન જેવી દવાઓ આપવામાં આવી હતી. એક પણ દર્દીઓને રિફર કરવામાં આવ્યા નથી અને બધાને અહીંયા સારવાર આપવામાં આવી છે. કુતરા કરડવાની ઘટનામાં બે વર્ષની બાળકી હતી તેને પણ બચકા ભર્યા હતા એટલે તેને પણ સારવાર અહીંયા આપવામાં આવી હતી.
