અમરેલી10 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યમાં અનેક વખત પેપર ફૂટ્યા છે. જેથી પરીક્ષાઓ પણ મુલતવી રાખવી પડી હતી. જેથી લાખો બેરોજગારોના સરકારી નોકરી મેળવવાના સપના પર પાણી વળતું હતું. ત્યારે યુવરાજસિંહે આવી અનેક ઘટનાઓને ઉજાગર કરી હતી. જોકે, હાલ ખુદ યુવરાજસિંહ સામે તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. યુવરાજસિંહને ન્યાય અપાવવાની માગ સાથે અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
યુવરાજસિંહ પર તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેના પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. તેમજ આજે યુવરાજ સિંહના સાળા પાસેથી કેટલીક રોકડ રકમ મળી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે, આમ આદમી પાર્ટી યુવરાજસિંહના સમર્થનમાં આવી રહી છે અને યુવરાજસિંહને ન્યાય અપાવવા અમરેલી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ડમીકાંડમાં મોટા માથાઓ સુધી તપાસ કરવાની આપ પાર્ટી દ્વારા માંગણી કરવામા આવી રહી છે. ડમીકાંડના કૌભાંડનો પર્દાફાશ કરનારા યુવરાજ સિંહ જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવતા આમ આદમી પાર્ટીએ નારાજગી દર્શાવી હતી. ડમી કાંડ મામલે મોટા માથાઓની યોગ્ય નિષ્પક્ષ રીતે તપાસ કરવા માટેની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. રાજુલામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પણ યુવરાજસિંહ મુદ્દે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિકુંજ સાવલિયા તેમજ આગેવાનો ભાર્ગવભાઈ મહેતા કેવિન ભાઈ ગજેરા પુનિતભાઈ મોરઝરીયા જેકે સોહલીયા નિલેશભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.