રાજકોટ22 મિનિટ પહેલા
- કૉપી લિંક
સંજય બીશ્નોઈ
તાજેતરમાં જ ફોરેન ટ્રેડનાં જોઈન્ટ ડાયરેકટર જાવરીમલ બીશ્નોઈએ લાંચ કેસમાં CBIના હાથે ઝડપાયા બાદ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. આ મામલે CBI સામે કાર્યવાહીની માંગ સાથે તેના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે આ પછી તટસ્થ તપાસ માટેની ખાતરી મળતા 36 કલાક બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારે વતન રાજસ્થાન ખાતે મૃતકનાં અંતિમસંસ્કાર કર્યા બાદ આજે તેનાં નાના ભાઈ સંજય બીશ્નોઈ મીડિયા સમક્ષ આવ્યા હતા. અને આ મામલે CBIએ ખોટી માહિતી જાહેર કરતી હોવાનો આરોપ લગાવી તેની પાસે CBIએ તપાસનાં નામે ટોર્ચર કર્યાનાં પુરાવા હોવાનો દાવો કર્યો હતો.
પુરાવાઓ મીડિયાને સોંપવાની તૈયારી
મૃતકનાં ભાઈ સંજય બીશ્નોઈએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈ જાવરીમલ બીશ્નોઈ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેકટર હતા. અને કોઈક મોટા ષડયંત્ર હેઠળ તેઓને CBI દ્વારા લાંચ કેસમાં સંડોવી દેવામાં આવ્યા હતા. આ સમયે એકતરફ તેમની પૂછપરછ ચાલી રહી હતી. જ્યારે બીજીતરફ CBIના કેટલાક અધિકારીઓ દ્વારા તેના પુત્ર અને પરિવારને ટોર્ચર કરવામાં આવ્યા હતા. રાતભર તેઓ જાવરીમલ સાથે વાત કરવાની વિનંતી કરતા રહ્યા હતા. જો કે તેમની વાત કરાવવાને બદલે તેમને ગાંજાના કેસમાં સંડોવી દેવા સહિતની ધમકીઓ આપવામાં આવી હતી. આ બાબતોના પુરાવા હું ડીસીપીને રજૂ કરીશ અને તેઓ પાસે અથવા મારા વકીલ પાસે મંજૂરી મળ્યે પુરાવાઓ મીડિયાને સોંપવાની તૈયારી દર્શાવી હતી.
જાવરીમલ બિશ્નોઇ, મૃતક અધિકારી
CBI પર ભરોસો કરવો શક્ય નથી
વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી મીડિયાના માધ્યમથી CBI દ્વારા આ કેસ અંગે ખોટી માહિતી જાહેર કરવામાં આવે છે. CBI પોતાના બચાવ માટે જ મીડિયામાં ખોટી માહિતી જાહેર કરે છે. મારા ભાઈએ લાંચ લીધાની ફરિયાદ કરનાર વ્યક્તિ પણ શંકાના દાયરામાં હોવાથી તે સહિતનાં જે લોકો દોષી હોય તે અંગે પણ તપાસ થવી જોઈએ. મારા તેમજ મારા પરિવાર માટે મારા ભાઈની લાઈફનું લોસ સૌથી મોટું નુકસાન છે. CBI ગાંધીનગરના જ ઓફિસર લાંચ કેસમાં ફરાર છે. ત્યારે CBIની કોઈપણ કાર્યવાહી પર ભરોસો કરવો શક્ય નથી.
બિશ્નોઇના ઘરે મળેલા થેલામાથી રૂપિયાના બંડલ નીકળ્યાં હતા
તમામ સામે હત્યાની કલમ હેઠળ ગુનો દાખલ
તંત્ર દ્વારા જે-તે દિવસે CBIના ક્યાં અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા તેની વિગતો પણ પરિવારને અપાઈ નથી. અને મારા ભાઈનું મોટ CBIની કસ્ટડીમાં થયું હોવાથી તે પણ એક ગુનો હોવાનું નિષ્ણાંત વકીલો જણાવી રહ્યા છે. ત્યારે આ તપાસ કરનારા તમામ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. સમગ્ર મામલે પોતે તપાસનીશ અધિકારીને મળી પુરાવાઓ સાથે રજૂઆત કરનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. જોકે CBIએ જાહેર કરેલા CCTV અંગે તેમણે પોતે અજાણ હોવાનું રટણ કર્યું હતું. ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારી હકીકતો સામે આવવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.