ગાંધીધામ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
પૂર્વ કચ્છમાં કયાંય સીએનજી પંપ ન હોવાથી વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથો સાથ પર્યાવરણને પણ નુકસાન થાય છે. સમગ્ર પૂર્વ કચ્છમાં સીએનજી પંપ ન હોવાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. જિલ્લાના આર્થિક પાટનગર એવા ગાંધીધામ સંકુલ, અંજાર, ભચાઉની આસપાસ કયાંય સીએનજી પંપ નથી, જેના કારણે લોકોને રતનાલ અથવા માળિયા સુધી લાંબા થવું પડે છે. આ લાંબા ગાળાના કારણે વાહન ચાલકોને મહિને સરેરાશ રૂા. 6000નો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવે છે. રોજનું કમાઇ ખાનારા રિક્ષા ચાલકોને આ લાંબા અંતરના કારણે મહિને રૂા.3500 જેટલાનો ફટકો સહન કરવાનો આવે છે. અહીં સીએનજી. પંપના અભાવે આર્થિક નુકસાની સાથે પર્યાવરણને પણ નુકસાન થઇ રહ્યું છે. અંતે આ ભાર મુસાફરોના માથે ચડતું હોય છે. ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં એક-એક સી.એન.જી. પંપ ચાલુ કરવા પૂર્વ કચ્છ જિલ્લા સી.એન.જી. ઉપભોક્તા મંડળે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી માંગ કરી હતી.