અરવલ્લી (મોડાસા)25 મિનિટ પહેલા
- કૉપી લિંક
એક તરફ ખેડૂત કુદરતી હોનારતોનો ભોગ બનતો આવ્યો છે. તો બીજી તરફ તંત્રની બેદરકારી પણ વેઠવી પડે છે. ત્યારે માલપુરના સોનિકપુર ગામે ખેડૂતને પાણી પુરવઠા વિભાગની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે.
વાત છે માલપુર તાલુકાના સોનિકપુર ગામની. સોનિકપુર ગામે અરવિંદ પટેલ નામના ખેડૂતના ખેતરમાંથી પાણી પુરવઠા વિભાગ એસકે-2ની મુખ્ય પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં એકાએક કોઈ કારણોસર ભંગાણ સર્જાયું છે. જેના કારણે ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં છે. ખેડૂતને એક તરફ કમોસમી વરસાદથી પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે થોડું ઘણું કંઈ પશુઓ માટે મળે એમ હતું. ત્યારે પાણી પુરવઠા વિભાગની નબળી કામગીરીના ભોગ બનવાનો વારો આવ્યો છે.
ત્યારે પાણી પુરવઠા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને આવી નબળી કામગીરી રિપેર કરે જેથી ખેડૂતને નુકસાનીના ઘા ન સહન કરવા પડે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામડે ગામડે પાણીની સુવિધા પહોંચાડવા માટે દરેક ખેડૂતના ખેતરમાંથી પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યારે ખેડૂતના ખેતરને નુકસાન ન થાય એ જવાબદારી તંત્રની પણ છે. તંત્રની બેદરકારીના કારણે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય ત્યારે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
માલપુરના સોનિકપુરના ખેડૂત અરવિંદ પટેલે તેમના ખેતરમાં જુવાર અને ચીકુડીના ઘાસચારાનું વાવેતર કર્યું હતું. દસ વિઘા જમીનમાં વાવેતર કર્યું હતું. વિઘે ઓછામાં ઓછો દસ હજાર જેટલો ખર્ચ થાય છે. ત્યારે આજે જે પાઇપલાઇન તૂટી જેનાથી ખેડૂતને એક લાખ રૂપિયાનું નુકસાન થયું છે. કમોસમી વરસાદમાં પણ ખેડૂતને ઘઉંના પાકથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. ત્યારે પશુઓ માટે કરેલો ઘાસચારો પણ પલડીને ખરાબ થયો હતો. આમ ખેડૂત માટે બળતામાં ઘી હોમાયું હોય એવી સ્થિતિ નિર્માણ પામી છે. આમ તંત્ર દ્વારા ખેડૂતને નુકસાનીનું વળતર આપવામાં આવે એવી માગ છે.