અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ગોમતીપુરમાં પ્રદુષિત પાણી અને ઓછું પાણી આવવાને લઈ આજે બપોરે ગોમતીપુરના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ અને ઝુલ્ફીખાનની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ દ્વારા માટલા ફોડી અને અમરાઈવાડી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાણી આપો, પાણી આપો, હાય રે કમિશનર હાય હાયના સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો
હાલમાં રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે પાણીની સમસ્યાઓ ઊભી થઈ છે. ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં દરરોજ મહિલાઓ ખૂબ હેરાન પરેશાન થઈ રહી છે. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અવારનવાર રજૂઆત છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં ન આવતા આજે માટલા ફોડી અને પ્રદુષિત પાણીની બોટલો અધિકારીઓને બતાવી વિરોધ કરી અને રજૂઆત કરવામાં આવી હતી. જો ઝડપથી નિરાકરણ નહીં આવે તો ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી પણ આપી હતી.
ગોમતીપુરના સમેરબાગ, મદની મોહલ્લા, સુથારવાડા, સુન્દરમનગર,અંસારનગર, વિશ્વનાથનગર, ગરીબનવાજ મસ્જિદ, ઇસ્લામનગર તેમજ ઉષા સિનેમાથી લાલ મિલ ચારરસ્તા સુધી તમામ ચાલીઓમાં રમઝાન માસ દરમ્યાન પ્રદુષિત પાણી અને પાણીનું ઓછું પ્રેશરથી પાણીની મોટી સમસ્યા ઉભી થાય છે. દરરોજ સવારે બહેનો માટલા લઈને વલખા મારતી જોવા મળે છે. જેથી સ્થાનિક કાઉન્સિલરો ઇકબાલ શેખ અને ઝુલ્ફી ખાનની આગેવાનીમાં અને સ્થાનિક આગેવાનીમાં સ્થાનિક નાગરિકોની સાથે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હિતેશ ગજ્જરની અમરાઈવાડી ખાતે આવેલી ઓફિસ બહાર માટલાઓ ફોડી અને પ્રદૂષિત પાણીની બોટલો સાથે હલ્લાબોલ કરી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જો 8 દિવસમાં નિરાકરણ નહિ આવે તો ઓફિસને નાછૂટકે તાળાબંધી કરવાની ફરજ પડશે.