અમરેલી12 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લામા આજે હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવી છે. લાઠી નજીક આવેલા પ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યાં હતા. કેટલાક ભક્તો પગપાળા ચાલીને પણ આવતા હોય છે જ્યારે આજના હનુમાન જયંતીના દિવસે વિશેષ આયોજન કરવામા આવતુ હોય છે. મંદિરમા અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. તો લોકમેળાનું આયોજન ને પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુપ્રસિધ્ધ ભુરખીયા હનુમાનજી દાદાના મંદીર ખાતે દર્શનાર્થ માટે ભક્તો અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકોટ, ભાવનગર સહિત રાજય બહારથી પણ આવતા હોય છે. આ ઉપરાંત અમરેલી, લાઠી, બાબરા, દામનગર સહિત દૂર-દૂરથી ભક્તો દર વર્ષની પરંપરા મુજબ પગપાળા પણ આવે છે. મંદીર પ્રશાસન દ્વાર પણ ભુરખિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મંદિરને અદભૂત રીતે શણગાર કરવામાં આવ્યો છે. દર વર્ષે હજારો ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે તેમજ અહીં મંદીર દ્વારા 35,000 થી વધુ ભક્તોને વિનામૂલ્યે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્સવને ઉજવવા માટે લોકોમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક યુવાનો મોટી સંખ્યામાં સેવાકીય પ્રવૃતિ કરતામાં પણ જોડાતા હોય છે.
ટ્રાફિકના કારણે જાહેરનામું બહાર પાડ્યું
લાઠી-ભૂરખિયા-દામનગર રોડ પર ભારે વાહનની અવર-જવારને લઈને અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને લાઠી-ભૂરખિયા-દામનગર પરથી પસાર થતાં ભારે વાહનો માટે વૈકલ્પિક રુટ લાઠી-દામનગર રુટ પરથી જતાં-આવતાં ભારે વાહનોએ પ્રતાપગઢ-ભીંગરાડ-છભાડીયા-દામનગર રોડ પરથી પસાર થવાનું રહેશે તેમજ અમરેલીથી ચાવંડ રુટ પર જતાં-આવતાં ભારે વાહનોએ ચિત્તલ-બાબરા-ચાવંડ રોડ પરથી પસાર થવાનું રહેશે. તા.૦6 એપ્રિલ,2023 સહિતના દિવસ સુધી જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે. જેના કારણે દર્શનાર્થીઓ એ પણ રાહતનો શ્વાસ લીધો છે.