અમદાવાદ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાને પોતાની સાથે પ્રેમ સંબંધ ન રાખતી હોવાથી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડની કાર્યવાહી તેજ કરી છે.
ચાલીમાં રહેતા યુવકે મહિલાને ચપ્પુ માર્યું
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સોમનાથ નાગરદાસની ચાલી ખાતે રહેતા વિનોદ વૈશ્ય નામના યુવકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ત્રીજી એપ્રિલના રોજ સાંજના સમયે ફરિયાદીને તેના પિતાએ જણાવ્યું હતું કે, તેની કાકીને ચાલીમાં રહેતા રાકેશ રામ સ્વરૂપ મહાવરે ચપ્પુ માર્યું છે. જેથી ફરિયાદી કાકીના ઘરે ગયા હતા અને ત્યાં જઈને જોતા તેઓના કાકી લોહી લુહાણ હાલતમાં નીચે પડ્યા હતા અને તેઓને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી 108 મારફતે તેઓએ કાકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી કહીં હુમલો
હોસ્પિટલમાં ફરિયાદીએ કાકીને આ ઘટના વિશે પૂછતાં કાકીએ જણાવ્યું હતું કે, સાંજના સમયે તેઓ ચાલીમાથી નરેન્દ્ર મહાવરના ઘર આગળથી પસાર થતા હતા તે વખતે રાકેશ રામ સ્વરૂપ મહાવર તેઓની પાસે આવ્યો હતો અને મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી, તેવું કહીને તેની પાસેના ચપ્પુ જેવા હથિયારથી તેઓને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે તેમજ દાઢીના ભાગે એમ બે ઘા મારી દીધા હતા જે બાદ મહિલા ભાગવા જતા આરોપીએ તેને બરડાના ભાગે બીજા બે ઘા માર્યા હતા.
યુવક સામે હત્યાના પ્રયાસની ફરિયાદ
જે બાદ મહિલાએ બુમાબૂમ કરતા આજુબાજુના માણસો આવી જતા રાકેશ મહાવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે અંતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રાકેશ રામસ્વરૂપ મહાવર નામના યુવક સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે.