રાજકોટ6 મિનિટ પહેલા
- કૉપી લિંક

આરોપી શેખ નસુરૂદીન સાઈદુલ ઈસ્માઈલ
રાજકોટનાં પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરની સામે રાજશ્રુંગી એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલી ઓર્નામેન્ટની દુકાનમાંથી લાખોનું સોનુ ગાયબ થયાની ઘટના સામે આવી હતી. 388 ગ્રામ સોન અને રોકડની ચોરી થયાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. જેની પ્રાથમિક તપાસમાં ઓફિસમાં કોઈ તોડફોડ થઈ ન હોવાનું તેમજ સોનુ જ્યાં મૂક્યું હતું ત્યાનું તાળું સલામત હોવાનું સામે આવતા પોલીસે CCTV ચેક કરવા અને દુકાનનાં કારીગરોની પૂછપરછ સહિત તપાસ હાથ ધરી હતી. જેમાં બે મહિનાથી દુકાનમાં કામ કરતા કારીગરે એક દોરડા વડે બારીમાંથી દુકાનમાં ઘૂસીને આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે સોનાના દાગીના અને રોકડ સહિત રૂ. 13.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઓર્ડર મુજબ દાગીના બનાવે છે
એસીપી ભાર્ગવ પંડ્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગત તા. 11નાં રોજ પેલેસ રોડ પર આશાપુરા મંદિરની સામે આવેલા રાજશ્રુંગી એપાર્ટમેન્ટના ત્રીજા માળે એસ. એમ. ઓનામેન્ટ નામની 345 નંબરની ઓફીસમાંથી ચોરી થયાની ઘટના સામે આવી હતી. ઓફીસ માલિક મયુદ્દીન બંગાળીએ જણાવ્યું હતું કે,પોતે સોની બજારના અલગ અલગ વેપારીઓ પાસેથી સોનુ આવે તેના ઓર્ડર મુજબ દાગીના બનાવે છે અને તે ઘણા વર્ષોથી રાજકોટ જ રહે છે અને તેમની બીજા ચાર બંગાળી કારીગર કામ કરે છે. અમારી ઓફિસમાં સોની વેપારીઓનું અંદાજિત 400 ગ્રામ સોનુ પડેલું હતું અને તેમના દાગીના ઓર્ડર મુજબ બનાવવાના હતા.

ખોલી સોનુ લેવા ગયા હતા
10 તારીખે રાત્રે 11 વાગ્યા સુધી સોની કામ કર્યા બાદ ચારેય કારીગર ઓફિસ બંધ કરી પોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને નિત્ય ક્રમ મુજબ આજે વહેલી સવારે કારીગરો ઓફિસ ખોલી પોતાના કામ માટે ટેબલનું ખાનું ખોલી સોનુ લેવા ગયા ત્યારે તેમાં હતું નહીં. જેથી ચારેય કારીગર મને જાણ કરતા હું તુરંત જ મારી ઓફિસે પહોંચી ગયો હતો અને મેં તુરંત જ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. જેને પગલે પોલીસ તરત જ દોડી આવી હતી. પોલીસે ઓફિસમાં કામ કરતા તમામ સહિત આ ચારેય કારીગરની પૂછપરછ કરતા ચારેય વ્યક્તિ પાસેથી અલગ અલગ જવાબ મળ્યા હતા. જેને લઈને પ્રથમથી દુકાનમાં કામ કરતા કારીગરો શંકાના દાયરામાં હતા.
રૂપિયાની જરૂર હોવાથી ચોરી કરી
પોલીસ દ્વારા CCTVનાં આધારે તપાસ કરતા જ આ દુકાનનો એક કારીગર બનાવની રાત્રે શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરતો જોવા મળ્યો હતો. જેને પગલે શેખ નસુરૂદીન સાઈદુલ ઈસ્માઈલ નામના આ કારીગરની પૂછપરછ કરતા તેણે રૂપિયાની જરૂર હોવાથી આ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે દુકાનની ઉપર આવેલ બારીમાંથી દોરડા વડે ઘૂસ્યો હતો. અને ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ કારણે જ દુકાનમાં કોઈપણ પ્રકારની તોડફોડ અને ચોરીના કોઈપણ નિશાન પણ જોવા મળ્યા નહોતા. જોકે પોલીસે CCTVનાં આધારે આરોપીને દબોચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.