સુરેન્દ્રનગર25 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટડી તાલુકાના સુશિયા ગામે અગાઉના પ્રેમસંબંધ બાબતે મનદુઃખ રાખી મારામારીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં સીતાપુર ગામના ચાર શખ્સો ધોકા વડે તૂટી પડતા બંને યુવાનોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સીતાપુર ગામના આ ચારેય શખ્સો વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના સુશિયા ગામના કિરણભાઈ જલાભાઈ ઠાકોર અને તેઓના મોટાબાપુનો દીકરો ગોપાલભાઈ બંને બહુચરાજી માતાજીની ચુંદડી લેવા માટે ગયા હતા, તે સમયે એમનાજ ગામની એક છોકરી જેની સાથે કિરણભાઈને આગાઉ પ્રેમ સંબંધ હોય જે રસ્તામાં મળી હતી. અને કહ્યું હતું કે, મારા પતિ સાથે મારે રહેવું નથી. તું આગળ બાઇક ઉભું રાખ, જેથી આ યુવાન દ્વારા બાઇક આગળ ઉભું રાખી અને મહિલાને બેસાડીને જવા દીધું હતુ. ત્યારબાદ મહિલાના પતિએ બાઇકને ઉભું રાખી અને મહિલાને બાઇક પરથી ઉતારી દીધી હતી.
ત્યારબાદ નાવીયાણી ગામ પાસે મારુતિ સુઝુકી કંપની નજીક બાઇક ઉભું રખાવી માંડલ તાલુકાના સીતાપુર ગામના હેમુભાઈ મેવાભાઈ ઠાકોર, અગરાજી ગોવાજી ઠાકોર, રામાજી પેલાદજી ઠાકોર અને વિપુલજી અગરાજી ઠાકોરે ભેગા મળી કિરણભાઇની પાસે આવી અને ગાળો બોલી અને તેઓના હાથમાં ધોકા હતા તે લઈ અને યુવાનને પકડી અગરાજી ઠાકોરે પકડી રાખી અને અન્ય શખ્સોએ ડાબા અને જમણા પગમાં ધોકા માર્યા હતા. ત્યારબાદ કિરણભાઇનો બાપુનો દીકરો ગોપાલભાઈ છોડાવવા વચ્ચે પડતા વિપુલજી દ્વારા બરડામાં ધોકા વડે માર માર્યો હતો. અને બીજી વખત મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ કિરણભાઈ અને ગોપાલભાઈ બહુચરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ અને દશાડા પોલીસ મથકે માંડલ તાલુકાના સીતાપૂર ગામના ચાર ઈસમો વિરૃદ્ધ મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.