અમદાવાદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાઓ સપ્લાય કરવા મૃતદેહો દફનવિધિ વગેરેના સંચાલન માટે કોર્પોરેશનના જન્મ મરણ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં સંચાલન કરનાર કોન્ટ્રાક્ટર સંસ્થા સમભાવ સેવા સંઘ દ્વારા અંતિમ સંસ્કાર માટેની લોખંડની ચિતાઓમાં ઓછા લાકડા વપરાય તેના માટે થઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વગર જ ચિતાઓનું વેલ્ડીંગ કરી અને તેમાં ફેરફાર કરવામાં આવતા જન્મ મરણ વિભાગ દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી છે.
ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ જમાલપુર સ્મશાનગૃહમાં કોન્ટ્રાક્ટર સંસ્થા સમભાવ સેવા સંઘ દ્વારા ભૂતકાળમાં પણ આવા અનેક વખત ફેરફારો કર્યા હતા અને તેને નોટિસ આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે જન્મ મરણ વિભાગ દ્વારા ભાજપના સત્તાધીશો સમક્ષ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીમાં રજૂઆત કરાઈ હતી પરંતુ ભાજપના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે તેને મંજૂરી આપવામાં આવી નથી.
આ સમભાવ સેવા સંઘ પાસે અમદાવાદ શહેરના જમાલપુર સહિત અન્ય 11 એમ મળી કુલ 12 જેટલા સ્મશાન ગૃહોનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને અગાઉ અન્ય બે-ત્રણ સ્મશાનો પણ આવી રીતે બેદરકારી સામે આવતા તેને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આ કોન્ટ્રાક્ટર કંપની સામે જન્મ મરણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ભાજપના સત્તાધીશો આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોને સાચવી રહ્યા છે.
લોખંડની ચિતાઓ બનાવવામાં આવી
અમદાવાદના સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ચિતાઓ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. ડિઝાઇન પ્રમાણે લોખંડની ચિતાઓ બનાવવામાં આવી છે. તેમાં કોઈપણ ફેરફાર કરવો હોય તો જન્મ મરણ વિભાગ અને ઇજનેર વિભાગની મંજૂરી લેવી પડે છે. જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ગૃહમાં સૂકા લાકડાઓ રાખવા મૃતદેને દફન કરવા ખાડા ખોદવા સહિતના કામો માટે કાંકરિયાની સમભાવ સેવા સંઘ નામની સંસ્થાને કોર્પોરેશનના જન્મ મરણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
15 જેટલી ચિતાઓ સ્મશાન ગૃહમાં આવેલી છે તેમાં કેટલીક ચિતાઓમાં વેલ્ડીંગ કરી અને ડિઝાઇનમાં ફેરફાર ઓછા લાકડા વપરાય તેના માટે લોખંડનું સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર સંસ્થા દ્વારા મંજૂરી લીધા વગર ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જન્મ મરણ વિભાગના ધ્યાને આવ્યું છે. જેને લઇ અને સમભાવ સેવા સંઘને નોટિસ આપી બે દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.