અમદાવાદ34 મિનિટ પહેલા
- કૉપી લિંક

ઠગ કિરણ પટેલે અમદાવાદના એક બિલ્ડર સાથે નારોલની 80 લાખની જમીન વેચવાનો સોદો કર્યો હતો. જે મુદ્દે કિરણ પટેલે 25 લાખનું બાનાખત કરીને રૂપિયા મેળવી લઈને દસ્તાવેજ કર્યો નહોતો. જેને લઈને ઘટનાના 7 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણીમાં મેટ્રો કોર્ટે કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
રિમાન્ડ પૂરા થતાં મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો
આજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં આરોપીના વકીલ નિસાર વૈધના આસિસ્ટન્ટ વકીલ દ્વારા કિરણ પટેલના નારોલની જમીનના સોદામાં બિલ્ડર સાથે ઠગાઈ કેસમાં જામીન માંગ્યા હતા. જે મુદ્દે મેટ્રો કોર્ટે મંગળવારે બપોરે સુનાવણી મુકરર કરી છે.

કિરણની પત્ની પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં
ઉલ્લેખનીય છે કે, ઠગ કિરણ પટેલના મેટ્રો કોર્ટ દ્વારા સાંસદના ભાઈ જગદીશ ચાવડાનો બંગલો રિનોવેશનના નામે પચાવી પાડવાના કેસમાં 7 દિવસ, અમદાવાદની હયાત હોટલમાં G-20ની પ્રમોશનલ ઇવેન્ટ યોજીને 3.51 લાખના ઠગાઇના કેસમાં 3 દિવસ અને આ કેસમાં 3 દિવસ એમ કુલ 13 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે કિરણ પટેલની પત્ની માલિની પટેલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. માલિની પટેલની પણ મેટ્રો કોર્ટમાં જામીન ના મંજુર થતા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેની પર સોમવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
