પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક
ભગવાન માધવરાય અને માતા રૂકમણીના વિવાહની વિધિ સંપન્ન થયા બાદ ભગવાન માધવરાય રૂકમણી સાથે વાજતે-ગાજતે માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા. દર વર્ષે ચૈત્ર મહિનામાં આ લગ્નની આબેહૂબ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીની સાથે-સાથે માધવપુરમાં લગ્નની ખુશીમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. રામ નવમીથી લાગતા આ મેળાના ચોથા દિવસ ચૈત્ર સુદ બારસના રોજ ભગવાન માધવરાયજીના માતા રૂકમણી સાથેનો વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગ ઉજવાઈ ગયા બાદ રાત્રીના ભગવાન માધવરાય અને માતા રૂકમણી યુગલ સ્વરૂપે માધવપુરના મધુવન સ્થિત રૂકમણીના મંદિરે રોકાયા હતા.
ત્યારબાદ બીજા દિવસે સવારે ભગવાન જાગ્યા બાદ પોલીસ અશ્વદળ અને અશ્વોને કંસારનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. કંસારનો પ્રસાદ વહેંચાઈ ગયા બાદ ભગવાન રૂકમણીજીના મંદિરેથી પરણીને રાણી રૂકમણી સાથે મેળાના મેદાનમાંથી પોતાના રથમાં બેસી માધવરાયજીના નિજ મંદિરે પહોંચ્યા હતા.
ભગવાન જ્યારે નિજમંદિર તરફ પ્રયાણ કરતાં ત્યારે સમગ્ર માધવપુરમાં અબીલ-ગુલાલની છોળો ઉડી હતી અને જાણે કે સમગ્ર માધવપુર ગામ અબીલ ગુલાલના રંગે રંગાઈ ગયુ હોય તેમ જ્યાં જુઓ ત્યાં અબીલ ગુલાલ જ જોવા મળતો હતો. ભગવાન માધવરાયજી રાણી રૂકમણી સાથે નિજ મંદિરમાં પ્રવેશી કર્યા બાદ પાંચ દિવસીય વિવાહ મહોત્સવ સંપન્ન થયો હતો.