નર્મદા (રાજપીપળા)4 કલાક પહેલા
- કૉપી લિંક

નર્મદા જિલ્લામાં પોલીસ સતર્ક હોવા છતાં દરરોજ અકસ્માત થઈ રહ્યા છે. જેમાં કેટલાક મોતને ભેટે છે તો કેટલાક ઇજા પામતા હોય છે. ગતરોજ તિલકવાડા તાલુકા અને ગરુડેશ્વર તાલુકામાં બે અકસ્માતમાં એકનું મોત અને ત્રણને ઈજાઓ થઈ છે.
મળતી માહિતી અનુસાર તિલકવાડાનાં દાજીપુરા ગામ પાસે થયેલા અકસ્માતમાં કરણ બુરસિંગભાઇ બારીયાની ફરિયાદ મુજબ તેમના પિતા બુરસિંગ તેરસિંગભાઇ બારીયાનાઓ દાજીપુરા ગામથી તિલકવાડા ચાલતા જતા હતા. તે વખતે ડભોઇથી તિલકવાડા તરફ જતા રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી, તેમના પિતાને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમનું સારવાર દરમિયાન મોત નિપજાવ્યું હતું.
જ્યારે બીજો અકસ્માત ગરુડેશ્વરનાં વસંતપુરા ગામ પાસે થયો છે. જેમાં પ્રવિણ મંગુભાઇ તડવીની ફરિયાદ મુજબ ઇકો ગાડીના ચાલકે પોતાના કબજાની ઇક્કો ગાડી ગફલત ભરી રીતે હંકારી તેમની મોટર સાયકલને ટક્કર મારી રોડ પર પાડી દઇ ફરિયાદીને તથા મોટર સાયકલ પાછળ બેસેલા તેમની પત્નીને ઇજા કરી તથા તેમના મોટાબેન તારાબેનને ઇજા કરી ગુનો કર્યો હતો. તિલકવાડા અને કેવડીયા ટ્રાફિક પોલીસે બંને ગુના દાખલ કર્યા છે.