Saturday, April 1, 2023

ઘોઘંબાના સરસવા ગ્રામપંચાયતના સરપંચની અનુપસ્થિતિ વચ્ચે છ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યા; સરપંચને પદભ્રષ્ટ કરાયા | Six members voted against amid the absence of the Sarpanch of Ghoghamba's Saraswa Gram Panchayat; The Sarpanch was dismissed | Times Of Ahmedabad

હાલોલએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઘોઘંબા તાલુકાના સરસવા ગ્રામ પંચાયતના સરપંચને આખરે તાલુકા પંચાયતના વહીવટીતંત્ર દ્વારા પદ ઉપરથી હટાવી દેવતા છેલ્લા છ એક મહિનાથી ગ્રામપંયતના સભ્યો અને સરપંચ વચ્ચે ચાલી રહેલા ગજગ્રહનો અંત આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, ગામલોકોના સમર્થનમાં ચૂંટણી જીતેલા સરપંચે ગામલોકોને સ્મશાનમાં જવા માટેનો ટૂંકો રસ્તો કે જે ખાનગી સર્વે નંબરમાંથી નીકળતો હતો તે બંધ કરી દેતા આ મામલે ગામલોકો અને ગ્રામપંચાયતના સભ્યોનો સરપંચ સાથે ગાજગ્રહ ઉગ્ર બન્યો હતો.

સરસવા ગ્રામ પંચાયતમાં સર્વે નંબર 21માંથી પસાર થતો ગામના સ્મશાનમાં જતો રસ્તો સરપંચ દ્વારા બંધ કરી દેવામાં આવતા ગામ લોકોને મુશ્કેલી પડી રહી હતી. અનેક વખત રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતા ગામ લોકો રોષે ભરાયા હતા અને ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પંચમહાલ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા નાયબ કલેક્ટર દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તરફે સૂચન કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે એક સમયે આ રસ્તાને ખુલ્લો પણ કરવામાં આવ્યો હતો.

તેમ છતાં ફરીથી રસ્તો બંધ કરી દેવાતા વિવાદ વધુ વકર્યો હતો. જેમાં પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ જોડાયા હતા અને સરપંચની વિરોધમાં બે મહિના અગાઉ તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પંચાયત ધારાની જોગવાઈઓ અનુસાર અવિશ્વાસની દરખાસ્ત મળ્યાના 15 દિવસમાં સંબંધીત તાલુકા પંચાયત કચેરી દ્વારા આ અંગેની તમામ કાર્યવાહી કરવા અંગે પંચાયત ધારામાં જોગવાઈનો નિયમ હોવા છતાં નિયમ અનુસાર કાર્યવાહી ન થતા ગામ લોકો અને સભ્યો ઉશ્કેરાયા હતા અને અધિકારીઓ તથા રાજકીય હોદ્દેદારો દ્વારા દબાણ કરાતું હોવાના આક્ષેપો સાથે તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આખરે રાજગઢ પોલીસ તેમજ આગેવાનોની મધ્યસ્થીમાં ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી કે.પી. પારગી દ્વારા એક મહિનામાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. જે અનુસાર આજરોજ સરસવા ગ્રામ પંચાયત ખાતે સભ્ય દ્વારા રજુ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તના પ્રસ્તાવ ઉપર ચર્ચા કરવા માટે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. આ અંગેની આગોતરી જાણ તમામ સભ્યો તથા સરપંચને કરવામાં આવી હતી. તેમ છતાં સૂચક રીતે સરપંચ હીરાભાઈ સુરસીંગભાઇ રાઠવા આ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા.

સરપંચની ગેરહાજરીમાં જ તાલુકામાંથી નિમણૂક કરાયેલ અધિકારી દ્વારા તમામ સભ્યોની હાજરીમાં અને રાજગઢ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ગામ લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા છ સભ્યોએ સરપંચ હીરાભાઈ રાઠવાના વિરુદ્ધમાં આંગળી ઊંચી કરી અને તેઓને સરપંચ પદેથી દૂર કરવાની માંગણી કરી હતી. જે અનુસાર સામાન્ય સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બહુમતીથી અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરવામાં આવતા સરસવા ગામના સરપંચ હીરાભાઈ સુરસીંગભાઇ રાઠવાને તેઓના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

ગામલોકો અને સભ્યોનો સરપંચ સામે છેલ્લા છ-એક મહિનાથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો. સરસવા ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી હટાવી દેવામાં આવતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે રાજગઢ પોલીસ દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…