અમદાવાદ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અમદાવાદના વિદ્યાર્થીએ 92 ટકા મેળવ્યા છે. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરાએ મહેનત કરીને સારું પરિણામ મેળવ્યું છે. પિતાએ જમા કરેલી પુજીમાંથી અભ્યાસ કર્યો અને હવે દીકરો વિદેશ જઈને ભણવા ઈચ્છે છે જે માટે તૈયારી શરૂ કરી છે.
2019માં પિતાનું બ્રેઇન સ્ટ્રોકથી અવસાન
સીએટીએમ ખાતે રહેતા પાર્થ રાવલ નામના વિદ્યાર્થીના પિતા મુકેશભાઈનું 2019માં બ્રેઇન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. પિતાના ગયા બાદ પરિવાર પર આફત તૂટી પડી હતી. પિતા કર્મકાંડ વિધિ કરતા હતા. પિતાના ગયા બાદ ઘરમાં કોઈ કમાવનાર બચ્યું નહોતું. પ્રાર્થના માતા ઘરકામ કરે છે. જ્યારે 2 મોટી બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે જેમાંથી એક બહેન વિદેશ છે. પિતાએ જમા કરેલી પુંજી પરથી પાર્થનું ઘર ચાલતું હતું અને પાર્થ પણ તે પૈસામાંથી ભણ્યો હતો.
અભ્યાસ માટે મોટી બહેન પાસે UK જવું છે
પાર્થે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પપ્પાના ગયા બાદ તકલીફ ખૂબ પડતી હતી. ક્યારેક આર્થિક તકલીફ પડતી તો ક્યારેક માનસિક તૂટી જતા. પપ્પાની યાદ આવતી હતી. જેના પપ્પા ના હોય તેને ખબર પડે કેવું થાય. ઘરમાં કોઈ કમાવનાર નથી. જે બચત પપ્પાએ કરી હતી તેમાંથી ઘર ચાલતું હતું. હવે મારુ સારું પરિણામ આવ્યું છે તો મારે આગળના અભ્યાસ માટે મોટી બહેન પાસે UK જવું છે. ત્યાં જઈને સારું કમાઈશ ત્યારબાદ પરિવારને મદદ કરીશ.