વલસાડ4 કલાક પહેલા
- કૉપી લિંક

વલસાડના બેચર રોડ ઉપર આવેલી કેરી માર્કેટની એક દૂકાનમાં થયેલી રોકડ રૂ.2.20 લાખની ચોરીની ઘટનામાં પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. તે કેસમાં સંડોવાયેલા આરોપી રવિ સોર મલિકે જેલમાંથી મુક્ત થવા વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડના એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ તાલુકાના નંદાવલા ગામે પહાડ ફળિયામાં રહેતા સૌરવભાઇ રમેશભાઇ રાઠાડની વલસાડ બેચર રોડ ઉપર આવેલી કેરી માર્કેટની દૂકાન 1 મે ની સાંજે બંધ કરીને ઘરે ગયા હતા. 2જી મે ના રોજ સવારે 5 વાગ્યે તેમની દૂકાનમાં કામ કરતા કામદાર મુસ્તફાએ સૌરવ રાઠોડને ફોન કરી દૂકાનનું શટર તોડી ઉંચું કરી કોઇ ઇસમે ચોરી કરી હોવાની જાણ કરી હતી. જેને લઇ સૌરવ તેના પિતા સાથે બુલેટ પર બેસી તાત્કાલિક દૂકાને આવી જોતાં ટેબલના ખાનામાં મૂકેલા રૂ.2.20 લાખ ગાયબ જણાતા ચોરી થઇ હોવાનું જણાયું હતું.

તેમણે માર્કેટની દૂકાનના CCTV કેમેરાના ફુટેજ ચેક કરતા 3 ઇસમ દૂકાનનું શટર તોડી ગેરકાયદેસર રીતે દુકાનની અંદર પ્રવેશી ટેબલમાં મૂકેલી રૂ.2.20 લાખની રકમ ભરેલી પ્લાસ્ટિકની થેલીની ચોરી કરી ગયા હોવાનું જોવા મળ્યું હતું. દુકાનના CCTV ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ ઇસમોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ માર્કેટના અન્ય વેપારીઓને જાણ કરી આસપાસ તપાસ હાથ ધરતા માર્કેટની પાછળ 2 શંકાસ્પદ ઇસમો રવિ સોર મલિક, રાજૂભાઇ પટેલ અને વલસાડ સીટી પોલીસને CCTV આપ્યા હતા. સીટી પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા અને શંકાસ્પદ આરોપીઓની તલાસી લેતા સૌરવભાઇની દૂકાનના ટેબલમાં મૂકેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. તેમાં ચેક કરતા રૂ.32 હજાર રોકડા મળી આવતા બંન્નેની અટકાયત કરી હતી. કેરીના વેપારી સૌરવ રાઠોડે વલસાડ સીટી પોલીસ મથકે રૂ.2.20 લાખની ચોરી મામલે 3 ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપી રવિ સોર મલિકે વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા કરેલા જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની એડિશનલ સેશન્સ ટી વી આહુજાએ આરોપી રવિ સોર મલિકના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.