કકરવાએક કલાક પહેલા
- કૉપી લિંક
- 15 હજારની વસતી ધરાવતા આ વિસ્તારમાં હાલ બે દર્દીઓની કઠણાઇ
- ચાર કલાકની મુસાફરી અને ત્રણ કલાકની પ્રક્રિયામાં આખો દિવસ લાગે
વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા જ્યાં આવેલુ છે તે ખડીરમાં આરોગ્ય અને માળખાગત સુવિધાઓની હજુ પણ ભારે કમી છે. ચોંકાવનારી વાત એ છે કે અહીંના કિડનીના દર્દીઓને ડાયાલિસિસ કરાવવા 75 કિમી દૂર છેક રાપર જવાનું થાય છે. ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં સાત ગ્રામ પંચાયતો વચ્ચે 15 હજારની વસ્તી હોવાની સાથે બીએસએફ, પોલીસ સ્ટાફ કાયમી ધોરણે વસે છે. આ વિસ્તારમાં જનાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ધોળાવીરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે. જોકે અનેક સુવિધાઓ ખૂટે છે.
આ વિસ્તારમાં જો કોઈની કિડની કામ કરતી બંધ થઈ જાય તો કાયમી ધોરણે ડાયાલિસિસ માટે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેઓને છેક રાપર જવાની ફરજ પડે છે. ખડીરમાં હાલ ડાયાલિસિસના બે દર્દીઓ છે. સંખ્યા ભલે બે ની હોય પણ માનવ જિંદગી અમૂલ્ય છે. ગણેશપરના જયરામ દેવરાજ આહીર કે જેઓ અઠવાડિયામાં બે વખત રાપર ખાતે ડાયાલિસિસ કરાવવા જતા હોય છે. તેમણે કહ્યું કે અહીંથી રાપર પહોંચવા એસટી બસમાં ₹ 50 નો ખર્ચ થાય છે. તથા બે કલાકે રાપર પહોંચાય છે, ત્યારબાદ ડાયાલિસિસ કરવામાં ત્રણ કલાકનો સમય લાગે છે.
રાપર ખાતે ડાયાલિસિસ તો નિ:શૂલ્ક થઈ જાય છે, પણ મહિનામાં ચોથી વખત પણ આ પ્રક્રિયા કરવી પડે તો રૂપિયા પડે છે. શારીરિક રીતે સાવ નબળા પડી ગયેલા દર્દીઓને જતા આવતા અંદાજે 150 કિમીની મુસાફરી કઠિન બની રહે છે. એક મહિલા દર્દી રતનપરમાં આ તકલીફનો સામનો કરી રહ્યા છે. તેવામાં ઓચિંતી તબિયત બગડે તો રાપર પહોંચવું મુશ્કેલ પડે છે. તેવામાં જનાણ સામુહિક કેન્દ્ર ખાતે ડાયાલિસિસની સુવિધા શરૂ કરાય તે જરૂરી છે.