- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Rajkot MU With Demand For Permanent Recruitment. Request Permission From The Commissioner To Sit In Hospital Chowk, If Not Get The Threat Of Agitation
રાજકોટ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજકોટ મનપમાં સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી અંગે ઘણા વર્ષોથી સફાઈ કર્મચારીઓ દ્વારા માંગ કરાઈ રહી છે. જોકે આ મુદ્દે બે-બે રેલી યોજી રજૂઆતો કર્યા છતાં કોઈ ચોક્કસ કામગીરી નહીં થતા વાલ્મિકી સમાજ લડી લેવાના મૂડમાં છે. પ્રથમ મનપા કચેરી પાસે ધરણા કરવા માટેની મંજૂરી ટ્રાફિકના કારણોસર નકારી દેવામાં આવતા આજે ફરીવાર હોસ્પિટલ ચોકમાં આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે ધરણા કરવાની મંજૂરી માંગવામાં આવી છે. એટલું જ નહીં આ મંજૂરી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
400થી વધુ લોકોની ભરતી મંજુર
રાજકોટ સફાઇ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા દ્વારા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે અમારી માંગ સ્પષ્ટ છે. રાજકોટ કોર્પોરેશનમાં છેલ્લા 26 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી થઈ નથી. અને આ બાબતે 2018માં મોટું આંદોલન થયા બાદ 400થી વધુ લોકોની ભરતી મંજુર કરાઈ હતી. જોકે આજે 5વર્ષ થવા છતાં આ ભરતી થઈ નથી. તાજેતરમાં અમે 2 રેલી યોજી આ માટે માંગ કરી હતી. જેમાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી.

..તો આંદોલન ઉગ્ર બનશે
વધુમાં તેમણે કહ્યું કે, મનપા દ્વારા અમારી રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાતા અમે મજબુર થઈને ધરણા માટે નિર્ણય કર્યો છે. જેમાં અગાઉ રાજકોટ મનપાનાં ગેઇટ બહાર ફૂટપાથ પર ધરણા કરવાની મંજૂરી મંગાઈ હતી. જોકે ટ્રાફિકનું કારણ આપી અમને આ માટે મંજૂરી મળી નથી. એ કારણે અમે આજરોજ ટ્રાફિકને નડતરરૂપ થાય નહીં તે રીતે હોસ્પિટલ ચોક પાસે બાબાસાહેબની પ્રતિમા પાસે ફેનસિંગની અંદરની સાઈડ બેસી ધરણાની મંજૂરી માંગી છે. જો આજના દિવસમાં આ માટે મંજૂરી નહીં અપાય તો આંદોલન ઉગ્ર બનશે. અને અમે મંજૂરી વિના ધરણા શરૂ કરીશું. જે વાતની તંત્ર અને શાસક પક્ષ નોંધ લે તે જરૂરી છે.

ધરણા કરવાનું મન બનાવી લીધું
ઉલ્લેખનીય છે કે, વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી માટે માંગ કરવામાં આવી રહી છે. જોકે અનેક રજૂઆતો છતાં આ મામલે કોઇ ચોક્કસ પગલાં નહીં લેવાતા હવે વાલ્મિકી સમાજે ધરણા કરવાનું મન બનાવી લીધું છે. ત્યારે આ ધરણા માટેની મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.