- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Dholaria Takes Charge As BJP District President, Lobbying For Change Begins, Jallian Ghee Center Fined Rs 1.80 Lakh For Tampering
રાજકોટ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
અલ્પેશ ઢોલરિયા
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખને બદલાવવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. રાજકોટ શહેર ભાજપના પ્રમુખ તરીકે અચાનક મુકેશ દોશીનું નામ આવતા લોકો દંગ રહી ગયા હતા એ જ રીતે જિલ્લા ભાજપમાં યુવા ચહેરા તરીકે અલ્પેશ ઢોલરિયાનું નામ આવતા પણ લોકો દંગ રહી ગયા હતા. શહેર પ્રમુખે શનિવારે ચાર્જ સંભાળ્યા બાદ આજે જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાએ ચાર્જ સંભાળ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈ યુવા ચહેરાને તક આપી પ્રદેશ મવડી મંડળ દ્વારા નવી જ ચાલ ચાલવામાં આવી છે. જો કે તેમની પાછળ મોટા નેતાના પીઠબળ હોવાનું રાજકીય સૂત્રો કહી રહ્યા છે. ત્યારે નવનિયુક્ત શહેર અને જિલ્લા પ્રમુખએ ચાર્જ સંભાળ્યા બાદ હવે બન્નેના માળખામાં આગામી પખવાડિયા સુધીમાં બદલાવ કરવામાં આવશે તેમાં કોને સ્થાન મળશે કોને નહિ તે જોવું મહત્વનું રહેશે અને આ માટે લોબિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
રણજીત મુંધવા
કોંગ્રેસનાં 3 ઉમેદવારોએ શિક્ષણ સમિતિની ચૂંટણીનાં ફોર્મ ઉપાડ્યા
રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી માટે તા.19 જૂનના મતદાન થવાનું છે. અને 1 જૂને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે કોંગ્રેસ સત્તાવાર મેદાનમાં આવી છે. પક્ષની સુચના મુજબ આજે 3 આગેવાનોએ ચૂંટણી અધિકારી મેયર ડો.પ્રદીપ ડવ પાસેથી ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ઉપાડયા છે. જોકે માત્ર બે કોર્પોરેટરનું સંખ્યાબળ હોવાથી વિપક્ષના સભ્યો ચૂંટાય તેવી કોઈ શકયતા નથી. છતાં શહેર કોંગ્રેસ સમિતિના વિજયસિંહ જાડેજા, રણજીત મુંધવા, કમલેશ કોઠીવારે મેયર ડવની ચેમ્બરમાં શિક્ષણ સમિતિના સભ્યો માટેના ફોર્મ ઉપાડ્યા હતા. આ તકે શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા ભાનુબેન સોરાણી પ્રવિણભાઇ સોરાણી દિપ્તીબેન સોલંકી ધરતીબા ઝાલા ગોપાલ મોરવાડીયા ઉપસ્થિત રહયા હતા. જોકે મેયર દ્વારા ચૂંટણી ટાળવા માટેના પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર
વેરા વિભાગે 34 મિલકતો સીલ કરી રૂ. 1.50 કરોડની વસુલાત કરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકીવેરો વસૂલવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મહાપાલિકા દ્વારા 34 મિલકતોને સીલ કરવામાં આવી હતી. તો એક બાકીદારનું નળ કનેક્શન કાપી લેવાયું હતું. અને આજે એક જ દિવસમાં મહાપાલિકાની તિજોરીમાં રૂ. 1.50 કરોડ જમા થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ટેક્સ બ્રાન્ચ દ્વારા વોર્ડ નં.1માં 150 ફૂટ રિંગરોડ, રૈયા રોડ, વોર્ડ નં.3માં 80 ફૂટ રોડ, વોર્ડ નં.8માં 150 ફૂટ રિંગરોડ, નાનામવા રોડ, ટાગોર રોડ, સાધુ વાસવાણી, કિડવાઈનગર, યુનિવર્સિટી રોડ, સગુન રેસિડેન્સી, ગોંડલ રોડ, વાવડી, રામેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં વેરા વસૂલાત ઝુંબેશ કરી 34 મિલકતો સીલ કરી રૂા. 1.50 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. તો 20 મિલકતોને ટાંચ જપ્તીની નાટિસ ફટકારાઈ હતી.
34 મિલકતોને સીલ કરવામાં આવી
શુદ્ધ ઘીમાં ભેળસેળ બદલ સંચાલકને રૂ. 1.80 લાખનો દંડ
રાજકોટ શહેરમાં વિવિધ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં અટકાવવા રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા સમયાંતરે વિવિધ પેઢીઓમાંથી શંકાસ્પદ નમૂના લઇ તેના પૃથ્થકરણ માટે સરકાર માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેમાં ભેળસેળની સાબિતી મળતા દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ભેળસેળના આવા જ એક કેસમાં શહેરના કોઠારીયા રોડ પર દેવપરા શાકમાર્કેટમાં જલિયાણ ઘી સેન્ટરના સંચાલક પરેશ ૨મણિકભાઈ કોટકને અદાલતે બે માસની સજા તથા રૂપિયા 1.80 લાખ દંડનો હુકમ કર્યો છે.