બોટાદએક કલાક પહેલા
- કૉપી લિંક
પોતાના પદ પરથી રાજીનામું આપતા રૂપાભાઇ રાઠોડ.
બોટાદ શહેર ભાજપ મહામંત્રી રૂપા રાઠોડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ તેમણે બોટાદ શહેર ભાજપ સંગઠનની કામગીરી પર સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે.
બોટાદ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રીના હોદ્દા પર જવાબદારી નિભાવી રહેલા રૂપા રાઠોડ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. રાજીનામું આપવાના કારણે અંગે રુપા રાઠોડે જણાવ્યું હતું કે, સંગઠનનો થોડો અભાવ થઇ ગયો છે, કાર્યકરોને સાચવવામાં આવતા નથી. આ અંગે મેં પાર્ટીને વાંરવાર રજૂઆત પણ કરી હતી. પરંતુ મને આવું લાગ્યું કે પાર્ટીનું આમા ખરાબ થાય છે અને પાર્ટીનું ખરાબ થાય એ મારાથી સહન થતું ન હતું. એના કારણે રાજીનામું આપી દેવું આપણા માટે સારુ કહેવાય. જેથી કરીને પાર્ટીને નુકશાન ન થાય.
રુપાભાઇનું રાજીનામું
સંગઠનમાં ખામી અંગે રુપાભાઇએ કહ્યું કે, નગરપાલિકાની 44 સીટમાંથી 40 સીટ જનતાએ ભાજપને જીતાડી. 40 સીટ આપ્યા પછી પણ તેને સાચવી ન શક્યા એવું મને લાગે છે. મારી દ્રષ્ટ્રિએ હું એવું વિચારું છું કે નાના-મોટા કાર્યક્રમ આવે ત્યારે અમે કાર્યકરોને જાણ કરીએ પરંતુ કાર્યક્રમમાં કાર્યકરો આવતા નથી. મને એવું લાગ્યું કે કાર્યકરો ન આવતા હોય તેનું કોઇ કારણ હોઇ શકે. કારણમાં તો એવું બને કે કાર્યકરોના નાના-મોટા કામ હોય અને આપણે તે કામ ન કર્યા હોય અથવા તેના પર ધ્યાન ન આપવામાં આવ્યું તો જ કાર્યકર ન આવી શકે. શહેર સંગઠનમાં મોવડીમંડળ ખાલી ફોટો સેશન કરવું અને ઉપર મોકલી દેવા એ હું મારી રીતે યોગ્ય નથી માનતો. કામ કરવું તો નિષ્ઠાથી કરવું. પાર્ટીનું ખરાબ થાય એ આપણા માટે શરમજનક કહેવાય. આના કારણે મને એવું થવું થયું કે રાજીનામું આપી દેવું સારુ કહેવાય. જેથી નવા સારા માણસોને તક મળે.
રુપાભાઇ રાઠોડ.
રુપાભાઇએ કહ્યું કે, મોટા કાર્યક્રમ હોય ત્યારે શહેર પ્રમુખ દ્વારા અમને વિશ્વાસમાં લેવામાં આવતા ન હતા. તેની અમે ઘણી રજૂઆત કરી પણ સી.આર. પાટીલને કરી, પરંતુ તે ધ્યાનમાં ન લેવામાં આવી. જેથી આપણે સમજી જવું પડે કે રાજીનામું આપી દેવું સારુ કહેવાય. મેં માત્ર પદ પરથી રાજીનામું આપ્યું છે, હું ભાજપનો કાર્યકર તો આજીવન રહીશ. જો સંગઠનમાં સુધારો નહીં થાય તો માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તેની અસર દેખાઇ શકે છે.
બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયા.
બીજી તરફ બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રુપાભાઇ રાજીનામું આપવા કાર્યાલય ખાતે આવ્યા હતા. ત્યારે મેં તેમને સંગઠનમાં કામ કરતા રહો તેમ કહ્યું. તો રુપાભાઇએ એવું કારણ બતાવ્યું કે તેમણે જમીન લીધી છે અને ત્યાં પથ્થર કાઢવાની લીઝનું કામ પણ લીધું છે. જેથી તેઓ ધંધાના કામમાં ધ્યાન આપી શકતા નથી તો તેઓ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. આગામી દિવસોમાં પાર્ટીના ઘણા કાર્યક્રમો થવા છે ત્યારે રુપાભાઇ તેમાં સમય આપી શકે તેમ ન હતા. રુપાભાઇને દરેક કાર્યક્રમમાં સાથે રાખવામાં આવતા હતા. જો રુપાભાઇને એવું લાગતું હોય કે તેમને વિશ્વાસમાં લેવામાં આવતા ન હતા તો તે કાર્યક્રમનું સમય અને સ્થળ મને જણાવે. રુપાભાઇએ રાજીનામું આપ્યા બાદ હવે આક્ષેપ કરી રહ્યા છે તે પાયાવિહોણા છે. રુપાભાઇ બોટાદના પડદા પાછળના રાજકારણનો હાથો બની રહ્યા છે.