જૂનાગઢઅમુક પળો પહેલા
- કૉપી લિંક
ગત શનિવારે મોડી રાતના જૂનાગઢ તાલુકાના ઈવનગરમાંથી એક મહિલાની લાશ મળી હોવાની માહિતી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને મળી હતી. ઇવનગરમાં રહેતી દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા નામની મહિલાની લોહીમાં લથપથ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ મારી મહિલાની હત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે, આ ઘટનામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાની હત્યા બીજા કોઇએ નહીં પણ પ્રેમમાં અંધ બનેલી પોતાની જ દીકરીએ કરી છે. પોલીસે હત્યારી દીકરીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ગત રવિવારે વહેલી સવારે લાશ મળી હતી
ઘટનાની શરૂઆતથી વાત કરીએ તો મુળ ગીર સોમનાથ જિલ્લાના ભાલપરા ગામની અને છેલ્લા સાત વર્ષથી જૂનાગઢ તાલુકાનાં ઈવનગરમાં રહેતા દક્ષાબેન ગોવિંદભાઈ બામણીયા (ઉવ.35) પોતાના પતિ અને સંતાનો સાથે રહે છે. ગત રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રકના વ્હીલ પાનાથી માથાના ભાગે 17થી વધુ ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
પાનાના 17થી વધુ ઘા મારીને હત્યા કરી.
હત્યાનો ભેદ ઉકેલવા પોલીસને લોઢાના ચણા ચાવવાના હતા
દક્ષાબેનના પતિ ગોવિંદભાઈ બામણીયા પાલનપુર કામકાજ કરે છે. જેથી પાલનપુર અવર જવર રહેતી હોય છે. હત્યાનો બનાવ બન્યો ત્યારે ગોવિંદભાઇના સાઢુ ભાઇએ તેમને જાણ કરતાં ગોવિંદભાઇ પાલનપુરથી પરત આવી ગયા હતા. લોહીથી લથપથ હાલતમાં દક્ષાબેનનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યારે ગોવિંદભાઇએ પોતાની કોઇની સાથે દુશ્મની ન હોવાની ફરિયાદ લખાવી હતી. જેથી પોલીસને આ હત્યાનો ભેદ ઉકેલવા લોઢાના ચણા ચાવવાના હતા.
પોલીસે મિનાક્ષી પર શંકા ગઇ
કહે છે કે આરોપીથી પોલીસ એક ડગલું આગળ હોય એમ પોલીસે સૌ પ્રથમ પરિવારની જ પૂછપરછ કરી પરંતું કઇ ક્લુ મળ્યો નહીં. હત્યા થયા બાદ ઘરમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા અંતે પોલીસે તપાસની દિશા બદલી અને પરિવારજનો ઉપર સ્થિત કરી હતી. તપાસ કરતા દક્ષાબેન બામણીયાની પુત્રી મીનાક્ષી પર પોલીસને વધુ શંકા જવા લાગી જેથી પોલીસે મિનાક્ષી પર વધુ વોચ ગોઠવી દીધી હતી.
ડાબેથી મૃતક દક્ષાબેન અને હત્યારી દીકરી મીનાક્ષી.
પ્રેમી સાથે માતા જોઇ જતા હત્યાને અંજામ આપ્યો
જૂનાગઢ પોલીસે ઊંડાણપૂર્વક પોલીસે કરી મીનાક્ષીને બોલાવીને આગવી ઢબે પુછપરછ કરતાં મીનાક્ષી ભાગી પડી હતી અને હત્યાની કબુલાત કરી લીધી હતી. મીનાક્ષીએ ગુનો કબુલતાં પોલીસને જણાવ્યું કે, તેને પોતાના જ ગામમાં રહેતા એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને આ યુવાન તેને મળવા રાત્રે આવ્યો હતો. અગાઉ પણ આ યુવાન સાથે મીનાક્ષીને તેની માતાએ પકડી લીધી હતી અને તેને ઠપકો આપ્યો હતો. જ્યારે શુક્રવાર રાત્રે મીનાક્ષીનો પ્રેમી તેને મળવા આવવાનો હતો અને માતા દક્ષાબેનને તેની જાણ થઈ હતી. જેથી મીનાક્ષીને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ બાદ મોડી રાત્રે મીનાક્ષીએ પોતાના ઘરના સીસીટીવી બંધ કરીને માતાને 17 જેટલા પાનાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. હાલ તો પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને મળવા આવેલો પ્રેમી આ હત્યામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.